Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નામ બડે દર્શન છોટે !! :IPL-2018માં કરોડો રૂપિયામાં ખરીદાયેલ ''આ ''પ્લેયર્સ ટીમના માલિકોને માથે પડ્યા

મુંબઈ ;આઇપીએલ -2018 અડધો અડધ પુરી થઇ ચુકી છે અત્યાર સુધી રમાયેલી મોટાભાગની મેચો રોમાંચક રહી છે. ત્યારે કેટલાક એવા મોટા નામો છે જેમની પાસેથી સીઝન શરૂ થતા પહેલા ફ્રેન્ચાઈઝી ઓનર્સ અને ક્રિકેટ ફેન્સ ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તેઓ પોતાના નામ અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી. ટીમના માલિકોએ તોતિંગ રૂપિયામાં ખરીદેલા આ પ્લેયર્સ તેમને માથે પડી રહ્યાં છે. જેમણે આ સીઝનમાં પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા છે.

   ઈગ્લેન્ડનો સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ આ વખતે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. સ્ટોક્સ પાસેથી સીઝનની શરૂઆતમાં જે આશાઓ રાખવામાં આવી રહી હતી તેને પૂરી કરવામાં તે સદંતર નિષ્ફળ રહ્યો છે. તેણે અત્યાર સુધી 6 મેચોમાં માત્ર 24.50 રનની એવરેજથી 147 રન બનાવ્યા છે અને ફક્ત 1 વિકેટ ઝડપી શક્યો છે. IPLની ગત સીઝનમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમતા તેણે 12 મેચોમાં 316 રન બનાવવાની સાથે 12 વિકેટ ઝડપી હતી. સ્ટૉક્સને રાજસ્થાને 12.5 કરોડની જંગી રકમમાં ખરીદ્યો છે પણ હજુ સુધી તે એવું કોઈ પ્રદર્શન આપી શક્યો નથી જેની તેની પાસેથી આશા રાખવામાં આવતી હતી.

   પોતાની હોમ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબમાં કમબેક કરી રહેલા યુવરાજ સિંહ પાસેથી ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા અને મેન્ટર વીરેન્દ્ર સેહવાગ સહિત તમામ ક્રિકેટ ફેન્સને ખૂબ આશાઓ હતી પણ અત્યાર સુધી 6 મેચોમાં તેણે માત્ર 50 રન જ બનાવ્યા છે. ગત મેચમાં તો યુવરાજને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. યુવીને પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહના કરિયર માટે આ IPL કદાચ છેલ્લી આશા છે. જો તે અહીં ખાસ પ્રદર્શન નહીં કરી શકે તો ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાના દરવાજા કાયમ માટે બંધ થઈ શકે છે.

   11 કરોડ રૂપિયાની ભારેખમ રકમમાં ખરીદાયેલા મનીષ પાંડે પાસેથી સનરાઈઝર્સ હૈદરાબાદને ઘણી અપેક્ષાઓ હતી જેને પૂરી કરવામાં હજુ સુધી તે સફળ રહ્યો નથી. મનીષ 8 મેચોમાં 26 રનની સરેરાશથી માત્ર 158 રન જ બનાવી શક્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરનારા પાંડે પાસેથી સનરાઈઝર્સ બાકીની મેચોમાં સારા પ્રદર્શનની આશા રાખી રહી છે.

   IPL9માં RCB માટે નીચલા ક્રમે આવી આક્રમક બેટિંગ કરીને બધાને પ્રભાવિત કરનારા સરફરાઝ ખાને આ વખતે પોતાની બેટિંગથી બધાને નિરાશ કર્યા છે. તે અત્યાર સુધી 3 મેચોમાં માત્ર 11 રન જ બનાવી શક્યો છે અને એટલે જ તેને ટીમની બહાર પણ રાખવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત છે કે, સરફરાઝને RCBએ રિટેઈન કર્યો હતો. જોકે, તેણે પોતાના પ્રદર્શનથી ટીમ ઑનર્સ, કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિકેટ ફેન્સને નિરાશ કર્યા છે.

   દુનિયાના સૌથી ખતરનાક હિટર્સની છાપ ધરાવતા કેરોન પોલાર્ડનું બેટ IPL11માં હજુ સુધી ગરજી શક્યું નથી. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, આવામાં તેના સ્ટાર પ્લેયર્સનું નિરાશાજનક ફોર્મ તેની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. પોલાર્ડે અત્યાર સુધી 6 મેચોમાં માત્ર 63 રન બનાવ્યા છે અને એક પણ વિકેટ લઈ શક્યો નથી. પોલાર્ડને મુંબઈ 5.40 કરોડ રૂપિયા આપી ખરીદ્યો છે પણ તે હજુ સુધી એક પણ મેચ વિનિંગ ઈનિંગ રમી શક્યો નથી.

   સાઉથ આફ્રિકાના સ્ટાર ઑલરાઉન્ડર ક્રિસ મોરિસને આ વખતે દિલ્હી ડેરડેવિલ્સે 11 કરોડમાં રિટેઈન કર્યો છે. અગાઉની સીઝનમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કરનારા મોરિસે આ વખતે નિરાશ કર્યા છે અને 4 મેચોમાં માત્ર 3 વિકેટ ઝડપી છે તથા 46 રન બનાવી શક્યો છે. મોરિસ હવે ઈજાને કારણે IPLમાંથી પણ બહાર થઈ ચૂક્યો છે.

(12:27 am IST)