Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

અંધશ્રધ્ધા વિરૂદ્ધ કાયદો બનાવવાની તાતી જરૂરિયાતઃ ટંકારામાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

રાજકોટઃ મોરબી જિલ્લાના ટંકારા આર્ય વિદ્યાલયમાં છાત્ર-છાત્રાઓ, વાલી અને ગ્રામજનોમાં અંધશ્રધ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. દેશ માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીની વિચારધારા ઉપકારક છે. ભારતમાં અનેક ભાષાઓ વિકાસ માટે અવરોધક છે. એકસૂત્રતાથી બાંધનારી કોઈ ભાષા નથી તેની છણાવટ કરવામાં આવી હતી. છાત્ર-છાત્રાઓના પ્રશ્નોના જવાબમાં આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન ટ્રસ્ટના પ્રમુખ માવજીભાઈ દલસાણીયાએ કરી આર્ષ વિદ્યાલયમાં અનેકવિધ પ્રવૃતિઓની માહિતી આપી સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનકથનની વાત કરી અનેક સંઘર્ષ વચ્ચે વેદના પ્રચાર કર્યો હતો. ટ્રસ્ટના મંત્રી મેહુલભાઈ કોરીંગા, આચાર્ય જિજ્ઞેશભાઈ ભાગીયા, ધવલભાઈ ભીમાણી, અમિતભાઈ કોરીંગા, મનોરંજન શાસ્ત્રીએ ઉદઘાટન સાથે જ્ઞાન-વિજ્ઞાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિજ્ઞાન જાથાની અંધશ્રધ્ધા નિર્મૂલનની પ્રવૃતિ સમાજ માટે હિતકારક છે તેની વાત મુકી હતી. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓ, વાલીને સંબોધતા જણાવ્યુ કે અભણ કરતા શિક્ષિત લોકો વ્હેમ, અંધશ્રધ્ધા, ચમત્કારોમાં ફસાયા છે તે ચિંતાનો વિષય છે. શિક્ષિત લોકો અંધશ્રધ્ધાનો પ્રચાર હાઈટેક રીતે કરી મોટા સમુહને ગુમરાહ કરે છે. વર્તમાન સમયમાં વિજ્ઞાનમાં બાધા નાખવા અનેક પરિબળો ઉભા થયા છે તે સામે જાથાઓ જેહાદ જગાવી છે. જાથા ગામેગામ શિક્ષણ ઉપર ભાર મુકી લોકોને વાસ્તવવાદ, પુરૂષાર્થવાદ, રાષ્ટ્રવાદી બનાવવા પ્રયત્ન કરે છે તેમા સફળતા મળતી જાય છે. રાજ્ય-કેન્દ્ર સરકારે વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી ઠોસ કદમ ભરવાની જરૂર છે. સરકારે અંધશ્રધ્ધા વિરૂદ્ધ કાયદો બનાવવાની તાતી જરૂરીયાત છે. ધર્મ, કુપ્રથા કે પરંપરાને નામે આપણે ત્યાં બુદ્ધિહીન આયોજનો થઈ રહ્યા છે તેને તિલાંજલિ આપવાની જરૂર છે. જાથાની ટીમના સદસ્યોએ ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ, ભસ્મ નિકળવું, બેડી તૂટવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, હાથ-માથામાં દીવા રાખવા, મનગમતી મીઠાઈ ખવડાવવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું, ભુવાની સાંકળ મારવાની ડીંડકલીલા, હાથ-માથા ઉપર દીવા રાખવા જેવા અનેક પ્રયોગોનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા. ટ્રસ્ટના મંત્રી મેહુલભાઈ કોરીંગાએ શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓ થાય છે તેનો ચિતાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ સમન્વય કરી ધ્યેય સુધી પરિણામ લાવવામાં સમગ્ર શિક્ષકો કાર્યરત રહે છે. ચમત્કારિક પ્રિય માનસિકતા બદલાવા માટે જાથાના કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. વિજ્ઞાનથી માનવી સુખી થયો છે તેમા બેમત નથી તેવી વાત મુકી હતી. જાથાના ઉમેશ રાવ, રોમિત રાજદેવ, નિર્ભય જોશી, અંકલેશ ગોહિલ, વિનુભાઈ રાજ્યગુરૂ, રામભાઈ આહીરે પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો. રાજ્યમાં લોકજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયુ છે.

(1:15 pm IST)