Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

વિરનગર પાસે 'હિટ એન્ડ રન'માં રાજકોટ જંગલેશ્વરના દિપકનું મોત

માતાજીના દર્શન કર્યા બાદ રાજકોટ આવવા વાહન શોધતો'તો ને કાળ ભેટ્યો : પત્નિ, સાસુ, સસરા સહિતના સાથે દર્શને ગયો'તોઃ પાંચ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૩૧: આટકોટના વિરનગર પાસે 'હિટ એન્ડ રન'ના બનાવમાં રાજકોટ જંગલેશ્વરના ૩૦ વર્ષના દેવીપૂજક યુવાનનું મોત નિપજ્યું છે. પરિવારજનો સાથે માતાજીના દર્શન કર્યા બાદ રાજકોટ આવવા વાહનની રાહ જોઇ બધા ઉભા હતાં ત્યારે અકસ્માત નડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ જંગલેશ્વર-૨૪માં રહેતો દિપક લાભુભાઇ સાથરીયા (ઉ.૩૦) નામનો દેવીપૂજક યુવાન સાંજે આઠેક વાગ્યે આટકોટ વિરનગર પાસે રસ્તાની સાઇડમાં હતો ત્યારે કોઇ વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે આટકોટ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિપક ચાર ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને જંગલેશ્વરના સ્મશાનમાં કામ કરતો હતો. ગઇકાલે તે તથા પત્નિ શોભના, સાસુ, સસરા સહિતના લોકો બળધોઇની ધાર પર ખોડિયાર માતાજીના દર્શને ગયા હતાં. ત્યાંથી પગપાળા વિરનગર આવી રાજકોટ આવવા વાહન શોધવા રાહ જોતા હતાં ત્યારે દિપકને કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:43 am IST)