Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ગોંડલમાં પત્નિની હત્યા કરનાર જયંતી ચૌહાણને ઝડપી લેવાયો

દવા ન આપતા પત્નિને પતાવી દીધાની પોલીસ સમક્ષ કેફીયત

રાજકોટ, તા. ૩૧ :. ગોંડલમાં પત્નિની હત્યા કરનાર પતિને મોડી રાત્રે પોલીસે દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભગવતપરામાં વાછરા રોડ પર ભંગારના ડેલા સામે રહેતા વણકર હંસાબેન જયંતીભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૮) ગઈકાલે બપોરે રસોડામાં રસોઈનુ કામ કરતા હતા ત્યારે તેના પતિ જયંતી ચૌહાણે ધસી આવી પત્નિ હંસાબેનના માથામાં પાવડો ઝીંકી હત્યા કરી નાસી છૂટયો હતો. બનાવની જાણ થતા ગોંડલના પીઆઈ કે.એન. રામાનુજ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે ગોંડલ હોસ્પીટલમાં ખસેડી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર હંસાબેનને સંતાનમાં બે પુત્રો સાગર અને કિશન છે. જે બન્ને શાપર ફેકટરીમાં કામ કરે છે. પત્નિની હત્યા કરનાર જયંતીભાઈ ચૌહાણ માનસિક બિમારીથી પીડાઈ છે અને ગમે ત્યારે ઘરના સભ્યો પર હુમલો કરી દેતા હતા. તાજેતરમાં જ તેના ભાઈ નાનજીભાઈ પર પણ હુમલો કર્યો હતો અને અગાઉ બન્ને સંતાનો તથા પત્નિને પણ છાશવારે મારકુટ કરતો હતો.

દરમિયાન પત્નિની હત્યા કરી નાસી છૂટેલ જયંતી ચૌહાણને મોડી રાત્રે સીટી પીઆઈ રામાનુજની ટીમે દબોચી લીધો હતો. પોલીસ પૂછતાછમાં જયંતી ચૌહાણે પત્નિએ દવા ન આપતા પતાવી દીધાની કેફીયત આપી હતી.

(11:35 am IST)