Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જનતાના સ્વાસ્થ્ય માટે આહુતિ આપનારા દેવદૂત સમાન જામનગરના તબીબો વર્ણવે છે કોરોનાની સારવારના અનુભવો-તારણો

લોકડાઉનની શરૂઆતમાં કોવિડ હોસ્પિટલનું અસ્તિત્વ ન હતું, ખાનગી દવાખાના બન્ધ હતા ત્યારે ટાચા સગવડો-સાધનો વચ્ચે પણ કોરોના દર્દીઓ માટે સારવારમાં સેનાપતિ બનીને આગળ આવ્યા હતા ડો.ચેટર્જી અને ડો.ગોસ્વામી કલેકટરશ્રી દ્વારા કોરોના રત્નનો એવોર્ડ અર્પણ કરી સેવાને અપાયું હતું સન્માન

જામનગર તા.૩૦: 'ઉપચાર શોધાયો જ નથી એવા કોરોનાની સારવાર અમારા અભ્યાસ અને અનુભવોના આધારે કરતા હતાં. જો યોગ્ય રીતે પીપીઇ કીટ પહેરી હોઇ તો કોરોનાનું સંક્રમણ થતું નથી.  કોરોનાના દર્દીઓ સાથે દશ માસ વિતાવ્યા બાદ જાત અનુભવે હું આ કહી શકુ છુ.લૃ આ વાત કરે છે જામનગરની  જિલ્લા કોવિડ હોસ્પિટલ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એમ ત્રણેય જિલ્લાના રિજીઓનલ નોડલ આઙ્ખફિસર ડો.એસ.એસ. ચેટર્જી.

ડો. એસ.એસ.ચેટર્જી કહે છે કે શરૂઆતમાં એવાં સંશોધન હતા કે કોરોનાના દર્દીઓને શરદી- ઉધરસના લક્ષણો હશે પણ અમારા પાસે આવતા દર્દીઓમાં તાવ, કળતર અને નબળાઈ વધારે રહેતી હતી. હા, બાળકોમાં તો કોઈ લક્ષણો જ દેખાતા ન હતા. બાળકોમાં  કોરોના થવાનું પ્રમાણ પણ બહુ ઓછું હતું.

આવી પરિસ્થિતિમાં અમારા માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે દર્દીને  કેટલા માત્રામાં અને કેટલો સમય દવા આપવી. દુનિયાભરમાં થતાં કોરાનાના સારવારના પ્રયોગો અને તેની સફળતા- નિષ્ફળતાનો અમે અભ્યાસ કરતા હતા. સરકારની વખતોવખતની  કોરોનાની માર્ગદર્શિકાનું પણ અમે પાલન કરતાં હતા. એ મુજબની દવાઓ ઈન્જેકશન, પ્લાઝમાં થેરાપી, ઓકિસઝન થેરાપી અમે દર્દીઓને આપતા હતા.

ડો.ચેટર્જી કોવિડના રિજીઓનલ નોડલ ઓફિસર હોવા ઉપરાંત એમ.પી.શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન અને પોરબંદર મેડિકલ કોલેજના ડીન છે. મેડિસિન વિભાગના  પ્રોફેસર પણ છે. આમ અનેક જવાબદારી સંભાળતા આ તબીબ વિશે કોવિડના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો.ધર્મેશ વસાવડા કહે છે કે કોરોનાની એન્ટ્રી થતાં દેશભરમાં અને ગુજરાતમાં શરૂઆતમાં લોકડાઉન હતું ત્યારે ખાનગી હોસ્પિટલો બન્ધ હતી. ડોકટરો પણ કોરોનાથી ડરતા હતા. આવા મુશ્કેલ સમયે આપણી સરકારી હોસ્પિટલમાં કોરોનાના કેસ આવવા લાગ્યા. ત્યારે ડો.એસ.એસ. ચેટર્જીએ આગળ આવી દર્દીઓને સારવાર આપવાનું શરૂ કર્યું. અમારી કોવિડ હોસ્પિટલના સ્થાપક જ સમજો એમને. સૈનિક અને સેનાપતિ બનીને દિવસ-રાત કોરોના દર્દીઓ માટેનું કામ શરૂ કર્યું. એમની સાથે એમના જેવા જ સેવાના ભેખધારી ડો. ભુપેન્દ્ર ગોસ્વામી સહિતના અનેક ડોકટર્સ, રેસિડન્ટ ડોકટર્સ પણ જોડાતા ગયા હતા. અમારે ત્યાં કોવિડની સારવાર માટેની ડોકટર્સની શ્રેષ્ઠ ટિમ બનતી ગઈ હતી. કલેકટરશ્રી રવિશંકર દ્વારા કોરોના રત્નનો એવોર્ડ અર્પણ કરી ડો.ચેટર્જીની સેવાનું સન્માન કરાયું હતું.

એમ.પી.  શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઇ કહે છે કે સરકારની પોલીસી મુજબ કોરોના દર્દીઓને સારવારથી લઈને તેમને સાજા કરીને ઘરે મોકલવા,  મૃત દર્દીઓને સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરાવવા માટે મોકલવા,  દેશ અને દુનિયામાં થતા કોરોના અંગેના સંશોધનો અને પ્રયોગો ઉપર બાજ નજર રાખવા સહિતના કામો તો ડો. ચેટર્જી કરતા જ હતા. સાથો સાથ કોવિડ હોસ્પિટલ હજુ શરૂ થઈ ના હતી, ટાચા  સાધનો અને સગવડો હતા એવા શરૂઆતના વિકટ દિવસોમાં ડો. ચેટર્જી ખરા અર્થમાં કોરોના દર્દીઓની સારવારમાં સમર્પણ ભાવથી લાગી ગયા હતા. બીજા ડોકટરોને પણ તેઓ તેમની સાથે જોડી એકસૂત્રતામાં બાંધી લીધા હતા.

ડો.ચેટર્જીની જેમ જ ડો.ભુપેન્દ્ર ગોસ્વામીએ પણ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ રાત દર્દીઓની સારવાર માટે ભારે જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી કહે છે કે કોરોનાની મહામારીને કાબુમાં લેવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જિલ્લાકક્ષાએ કોવિડ હોસ્પિટલ ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી. સારવારમાં કયારેય ખોટ ન પડે એટલા જરૂરી સાધનો સુવિધાઓ ઉભી કરાવી આપી હતી. જેથી અમારા ડોકટર્સની ટીમને સારવારમાં સરળતા રહે છે અને દર્દીઓ પણ સંપૂર્ણ સારવારનો સંતોષ લઇને સાજા થઈને ઘેર જાય છે.

(1:22 pm IST)