Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

લાઠી ખાતે વધુ એક ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

રાજયમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો જારી : પાક નિષ્ફળ જતાં ખેડૂતની આત્મહત્યા : મામલામાં તપાસ

અમદાવાદ,તા. ૩૦ : રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. એક બાદ એક ખેડૂત પાકની નિષ્ફળતા અને આર્થિક સંકડામણને કારણે જીવ ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, એક પછી એક ખેડૂતની આત્મહત્યાને લઇ રાજયના ખેડૂતઆલમમાં પણ શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ખેડૂતની આત્મહત્યા અંગે મૃતક ખેડૂતના પરિવારે પાક નિષ્ફળ જવાનાકારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. આ અંગે મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના લાઠીના કાચરડી ગામના ૩૯ વર્ષીય ખેડૂત કમલેશભાઈ બાવચંદભાઈ વસાણીએ આત્મહત્યા કરી હતી. મેથળી ગામ નજીકના રેલવે ટ્રેક પર પસાર થતી માલગાડી નીચે પડતું મુકીને તેમણે જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે મૃતકના સ્વજનોએ પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યાની દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. લાઠી તાલુકાના નાના એવા કાચરડી ગામે બાર વિધા જમીન ધરાવતા કમલેશભાઈ બાવચંદભાઈ વસાણીએ પાક નિષ્ફળ જતાં હતાશ થઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી, ખાસ કરીને ખેડૂતઆલમમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. દામનગર સિવિલ ખાતે ખેડૂત અગ્રણીઓમાં ભારે રોષ જોવો મળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રાજયમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ તરફથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જયારે બીજીબાજુ, એક પછી એક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવાછતાં ભાજપ સરકાર દ્વારા આ સમગ્ર મામલે સૂચક મૌન સેવવામાં આવી રહ્યું છે, જેને લઇ ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

(7:22 pm IST)