Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

બાઇક અકસ્માતમાં ઘવાયેલા હળવદના રણછોડગઢના મંજુબેન કોળીનું મોત

૨૫મીએ લગ્નપ્રસંગમાંથી પતિ સાથે ઘરે આવતી વખતે બનાવ બન્યો'તો

રાજકોટ તા. ૩૦: હળવદના રણછોડગઢ ગામે રહેતાં મંજુબેન અવચરભાઇ સારલા (કોળી) (ઉ.૪૦) નામના મહિલાને ૨૫મીએ વાહન અકસ્માતમાં ઇજા થઇ હતી. સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મંજુબેન અને તેના પતિ અવચરભાઇ રણછોડભાઇ સારલા ૨૫/૫ના હળવદ લગ્ન પ્રસંગમાં ગયા હતાં. ત્યાંથી પરત પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે હળવદથી ત્રણેક કિ.મી. આગળ પહોંચ્યા તે વખતે તેના બાઇક પાછળ પાછળથી બીજુ બાઇક અથડાતાં પાછળના બાઇકના ચાલક અને મંજુબેન એમ બંનેને ઇજા થઇ હતી.

મંજુબેનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(11:44 am IST)