Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અણીયારામાં રિક્ષાચાલક લાખાભાઇ ભરવાડના ઘરમાં ૩૦ હજારની ચોરી

આજીડેમ પોલીસે એક શકમંદ શખ્સને ઉઠાવી પુછતાછ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: ત્રંબાના અણીયારા ગામમાં રહેતાં લાખાભાઇ નાથાભાઇ ડાભી (ઉ.૩૫) નામના ભરવાડ યુવાનના ઘરમાંથી ૨૩મીએ રૂ. ૩૦ હજારની ચોરી થઇ હતી. આ બારામાં આજીડેમ પોલીસે એક શકમંદને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.

અણીયારા રહેતાં અને છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં લાખાભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી છે કે ૨૩મીએ સવારે પોતે છકડો લઇ ફેરા કરવા નીકળી ગયો હતો અને પત્નિ શિતલબેન માલિયાસણ સિમંત પ્રસંગમાં ગઇ હતી. આ વખતે ડેલીના તાળા તોડી કોઇ ઘરમાંથી રૂ. ૩૦ હજાર રોકડા જે કબાટમાં એક થેલીમાં રાખ્યા હતાં તે ચોરી ગયું હતું. પત્નિ સાંજે ઘરે આવી ત્યારે તેણીને ચોરી થયાની ખબર પડી હતી.

પી.એસ.આઇ. જી.એન. વાઘેલાએ આ અંગે તપાસ શરૂ કરી એક શકમંદને સકંજામાં લઇ વિશેષ પુછતાછ શરૂ કરી છે. ચોરીનો ભેદ ઉકેલાઇ જવાની આશા છે. (૧૪.૬)

 

(11:58 am IST)