Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ઉનાના પુર્વ ધારાસભ્ય ઉપર હુમલા બાદ અમરેલીમાં શકમંદો ઝડપાયા

ઇજાગ્રસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સારવારમાં: મધુવન ગ્રુપની મનાતી ર્સ્કોપિયો કાર સાથે ૪ને રાઉન્ડ અપ કરાયા

અમરેલી : તસ્વીરમાં પોલીસે જપ્ત કરેલ સ્કોર્પિયો કાર તથા ઇજાગ્રસ્તોને અમરેલી સારવારમાં ખસેડાયા તે અને ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ - અમરેલી)

અમરેલી તા.ર૯ : ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ગઇકાલે પુર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ઉપર ફાયરીંગની ઘટના બાદ તમામને સારવારમાં ખસેડાયા છે. ત્યારે આ ફાયરીંગની ઘટના બાદ અમરેલી જીલ્લામાંથી શકમંદો  ઝડપાયા છે તે આ હુમલામાં સંડોવાયા છે કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉનામાં કોંગ્રેસ અને ભાજપના રાજકીય જૂથો વચ્ચે ફિલ્મી ઢબે અંધાધુંધ ફાયરીંગ થયાની અને ત્યાંથી ઘણા લોકો અમરેલી જિલ્લા તરફ આવી રહ્યા હોવાની જાણ થતાં એસપી શ્રી નિર્લિપ્ત રાયએ જિલ્લામાં નાકાબંધી કરાવી હતી અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી કરમટા તથા ખાંભાના પીએસઆઇ શ્રી ડી. એ.તુવરની ટીમ દ્વારા વોચ ગોઠવાતા ખાંભા નજીકથી એક ર્સ્કોપિયો નં. જીજે-૧૧ એએસ-ર૩૬ર માંથી ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા અને પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે ઉનાના સામસામા ફાયરીંગની ઘટનામાં એક જૂથ નામ મહેશ બાંભણીયાના મધુવન ગ્રુપની હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આ ગ્રુપના ઇજા પામનાર ત્રણ શખ્સો ઉપર  પણ પોલીસ વોચ ગોઠવી હતી અને જેમાંથી  એકને રાજકોટ ખસેડાયેલ છે ઉનાની ઘટનામાં સંડોવાયેલા અને અમરેલી પોલીસ પાસે આવેલા લોકો એક જ છે કે બીજા છે તેની તપાસ કરી ઉના પોલીસને જો તેના ગુનામાં અમરેલી પોલીસે પકડેલા લોકો હશે તો સોંપવામાં આવશે.

બિનસત્તાવાર રીતે ચર્ચાતી વિગતો અનુસાર ઉનામાં પૂર્વ પાલિકા મહિલા સદસ્યનું અવસાન થતાં પૂર્વ ધારાસભ્ય અને ઉના પાલિકાના પ્રમુખ કે.સી. રાઠોડ, અનકભાઇ ઠાકર, લોકેશભાઇ ખટર ખરખરાના કામે ગયેલ. ખરખરો કરીને પરત ફરતા હતાં ત્યારે એમ.કે. પાર્ક ગીર ગઢડા રોડ ઉનામાં યશવંતભાઇ બાંભણીયા, મહેશભાઇ બાંભણીયા, રવિ ઉર્ફે ગુડો બાંભણીયા વચ્ચે સામસામા ફાયરીંગ થતાં બન્ને પક્ષના લોકોને ગોળીઓ લાગતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. જેમાં યશવંતભાઇ ખાંભણીયા, મહેશભાઇ બાંભણીયા, રવિ ઉર્ફે ગુડો બાંભણીયા અને અનંત રાવ હરીશંકર પાઠક, મુકેશ રસિક ખટરને ગોળીયો લાગતા સારવાર માટે અમરેલી સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તે પૈકી અનંતરાવ હરીશંકર તથા મહેશ ભગવાનભાઇ બાંભણીયા અને મુકેશ રસીકભાઇ ખટરને અમરલીથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. જયારે યશવંતભાઇ અને રવિ બાંભણીયા અમરેલી સારવાર હેઠળ છે અમરેલી સીવિલ દ્વારા જાણ થતાં અમરેલી પોલીસ સીવિલ હોસ્પિટલ દોડી ગઇ હતી અને કાર્યવાહી કરી હતી અને ઉનામાં ગીર સોમનાથ એસપી. શ્રી વસાવા દોડી આવ્યા છે તથા ઉનાથી પીએસઆઇ શ્રી રમેશભાઇ રાજયગુરૂ પણ ફાયરીંગના બનાવમાં ઘવાયેલાઓના જવાબ લેવા માટે અમરેલી આવ્યા હોવાનું જાણવા મળે છે.

(12:23 pm IST)