Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગો આપબળે આગળ વધ્યા છે

સૌરાષ્ટ્ર આજે એમએસએમઈનું હબ બન્યુ છે : ઝાલાવાડવાસીઓએ પોતાની તાકાતથી દુનિયાના વેપાર-ઉદ્યોગના નક્શામાં આગવું સ્થાન બનાવ્યું છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ,તા.૨૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ એકઝીબીશનને ખૂલ્લું મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ખાનદાની અને ખુમારીના પ્રદેશ એવા ઝાલાવાડના લોકોમાં ઉદ્યમ અને ઉદ્યમશિલતા પડેલી છે. જેના કારણે દુનિયાના વેપાર - ઉદ્યોગના નકશામાં ઝાલાવાડવાસીઓએ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલ આ ઝાલાવાડ મેગા એક્ઝીબીશનના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના તમામ ઉદ્યોગો આપબળે આગળ વધ્યા છે. રાજકોટે બેરીંગ અને સબમર્સીબલ, જામનગરે બ્રાસપાર્ટ, સુરેન્દ્રનગરે જિનીંગ-સ્પીનીંગ અને ભાવનગરે શિપીંગ બ્રેકીંગ જેવા ઉદ્યોગો દ્વારા આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

        સૌરાષ્ટ્રમાં આપબળે વિકસેલા ઉદ્યોગોના કારણે સૌરાષ્ટ્ર આજે એમએસએમઈનું હબ બન્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ઝાલાવાડે પણ વેપાર-ઉદ્યોગોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હોવાની ખુશાલી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે, દુનિયાભરમાં તેઓએ પોતાના ઉદ્યોગોનો વ્યાપ વધાર્યો છે ત્યારે ઝાલાવાડવાસીઓએ પોતાની તાકાત થકી દુનિયાના વેપાર-ઉદ્યોગના નકશામાં આગવું સ્થાન બનાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓના સરળીકરણથી  નાના-મધ્યમ કક્ષાના એકમો રોજગારી સાથો - સાથ સ્થાનિક લોકોના આર્થિક વિકાસની પણ નવી તકો ખુલે તે માટે સરકાર સતત સંકલ્પબદ્ધ છે.

           નાના એકમોને સરળતાથી બેન્ક સહાય મળે તે માટે બેન્ક ઓફ બરોડા સાથે પણ આપણે સમજૂતી કરી છે. જેના કારણે એમએસએમઈ ઊદ્યોગ સાહસિકોના રૂપિયા પાંચ કરોડ સુધીના પ્રોજેકટસમાં નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માટે બેન્ક માત્ર ૭ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપશે તથા પાંચ કરોડથી વધુના પ્રોજેકટસમાં નાણાં સહાય ઉપલબ્ધ કરાવવા માટે બેન્ક ર૧ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપશે તેની વિગતો તેમણે આપી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મીઠા ઉદ્યોગના વિકાસ માટે પાટડી વિસ્તારમાં આવેલ ખારોઘોડામાં સોલ્ટ ઈન્ડ્રસ્ટ્રીઝ બનાવવા માટે પણ રાજ્ય સરકાર કટીબધ્ધ છે. તેમણે એમ પણ જણાવ્યું કે હજુ વધુ એમએસએમઈ ઝાલાવાડની ભૂમિ પર આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રૂપાણીએ કહ્યું હતું કે, નિર્ણાયક્તા જ વિકાસનો આધાર છે. રાજ્ય સરકાર એ ઝડપી નિર્ણાયક્તા અને પારદર્શિતા સાથે કાર્ય કરી રહી છે, જનતાની સુખાકારીની સાથે રાજયના વિકાસ માટે ઝડપી નિર્ણયો કરી વિકાસને નવી દિશા આપી છે.

(9:46 pm IST)