Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કનોડિયા બંધુને ભાવનગર શહેર ભા.જ.પા.ની શ્રદ્ધાંજલિ

ભાવનગર તા.૨૮ :  લોકોના દિલો પર વર્ષો સુધી રાજ કરનાર ફિલ્મ એકટર્સ બેલડી મહેશ અને નરેશ કનોડિયાના દુઃખદ નિધન પર શહેર ભા.જ.પા.એ આજે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવી હતી અને જણાવ્યું હતું કે ભા.જ.પા.એ એક દિગજ્જ દલિત નેતા ગુમાવ્યા છે તો ગુજરાતે એક શ્રેષ્ઠ અભિનેતા અને કલાકાર ગુમાવ્યા છે શહેર ભા.જ.પા. વતી આજે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રીઓ  વનરાજસિંહ ગોહિલ, શ્રી મહેશભાઈ રાવલ રાજુભાઇ બાંભણીયા ઉપરાંત વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રી અને રાજયસભાના સંસદશ્રી મનસુખભાઇ માંડવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપરાંત મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડે. મેયર અશોકભાઈ બારૈયા, નેતા પરેશભાઈ પંડ્યા સહિતના આગેવાનોએ શ્રદ્ઘાંજલિ પાઠવી હતી અને બંને ભાઈઓના નિધન પરત્વે ઊંડું દુઃખ વ્યકત કર્યું હતું.

શહેર અધ્યક્ષશ્રી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ચમકતા સિતારા એવા શ્રી નરેશ કનોડિયાએ ૭૭ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જયાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને હવે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મના દિગજ્જ કલાકાર ઉપરાંત ગુજરાતનું ગૌરવ હતા તેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા તો હતા જ પરંતુ સમગ્ર દલિત સમાજના યુથ આઇકોન પણ હતા સમગ્ર દેશમાં કોરોનાએ દસ્તક આપી એ સમયે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને 'ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ..તારો બાપ ભગાડે'ગીત ગાઇને લોકોને કોરોના પ્રત્યે જાગૃત કર્યા હતા અને આજ કોરોના વાઇરસ બંને ભાઈઓના મૃત્યુ માટે નિમિત્ત્। બન્યો હતો.

નરેશ કનોડિયાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ અનેક સફળ ફિલ્મો કામ કર્યું હતું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગૌરવ પ્રદાન કર્યું હતું.

(11:36 am IST)