Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મોરબીમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેકસીનેશન તાકીદે શરૂ કરો : બ્રિજેશ મેરજાની રજુઆત

ધારાસભ્યએ અલગ-અલગ સંસ્થાઓની માંગણીને રાજ્ય સરકાર સુધી પહોંચાડી

મોરબી : મોરબી જિલ્લામાં હજુ સુધી 18 વર્ષથી ઉપરના લોકોનું વેકસીનેશન શરૂ થયું નથી. જ્યારે અન્ય જિલ્લામાં આ વયજુથના લોકો માટે વેકસીન કામગીરી ચાલુ છે. પણ મોરબી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેકસીનેશન ક્યારે શરૂ થશે એ નક્કી જ નથી. આથી હાલની પરિસ્થિતિમાં વેકસીનેશનની ખાસ જરૂર હોવાથી અલગ સંસ્થાઓએ આ અંગે રજુઆત કરી રહી છે. ત્યારે મોરબીમાં 18 થી 44 વયજૂથના લોકો માટે તાકીદે વેક્સિનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે લોક લાગણીને વાચા આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નરને વિગતે પત્ર લખી મોરબી જિલ્લાના 18 થી 44 વયજૂથના લોકોને વેક્સિન સુવિધા તાત્કાલિક મળી રહે તેવો પ્રબંધ ગોઠવવા માંગ કરી છે. તેમણે આ અંગે પાઠવેલ વિગતવાર પત્રમાં જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામે વેક્સિનને અમોઘ શસ્ત્ર તરીકે લેખાવ્યું છે. તેને અનુરૂપ ગુજરાત સરકાર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં જુદી-જુદી વય જૂથમાં વેક્સિન મૂકવાની કામગીરી પુરજોષમાં ચાલુ છે.
તેજ રીતે મોરબી જીલ્લામાં હાલ 45 થી ઉપરના વય જૂથના લોકોની વેક્સિનની કામગીરી થઈ રહી છે. પરંતુ અમુક જિલ્લાઓમાં હાલ ૧૮ થી ૪૪ વય જૂથની વેક્સિનની કામગીરી પણ થઈ રહી છે. પણ મોરબી જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં કોરોનાના સંક્રમણનું પ્રમાણ પણ ઊંચું રહ્યું છે. તેમજ મોરબી જીલ્લામાં કમનશીબે કોરોનાને લીધે મૃત્યુઆંક પણ અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં વધુ રહ્યો છે. અત્યારે મોરબી જીલ્લામાં મ્યુકોરમાઈસીસ રોગે પણ માથું ઊંચક્યું છે. આ બધી સ્થિતિમાં મોરબી જિલ્લાનું ૧૮ થી ૪૪ વર્ષ જૂથના વેક્સિનની સુવિધા અપાય તે માટે અગ્રતાના ધોરણે સમાવેશ કરવા માંગણી કરી છે.
વધુમાં જણાવ્યું હતું કે, મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે. મોરબીમાં અન્ય રાજ્યો અને અન્ય દેશોમાથી પણ અનેક વેપારીઓ, ટ્રક ચાલકો, કારીગરો વિગેરેની આવન-જાવન મોરબીમાં સવિશેષ રહે છે. તે જોતાં મોરબીના ૧૮ થી ૪૪ વય જૂથના લોકોને વેક્સિન મળી રહે તે માટે મોરબી જિલ્લાને ટોચ અગ્રતાથી આવી સુવિધા અપાય તેમ કરવું ખૂબ જરૂરી છે. મોરબીના યુવાનો, બહેનો, જુદી-જુદી સ્વેચ્છિક સંસ્થાઓ અને શ્રેષ્ઠ મહાજનોની પણ આવી લોક લાગણી રહી છે. તે જોતાં આ માંગણી સત્વરે સંતોષાય તેમ કરાવવા માંગણી કરી છે.

(7:53 pm IST)