Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

સુરજકરાડીમાં યુવાનની હત્યા નિપજાવનાર ત્રણેય ઝડપાયા

ઘરની દિવાલ પાછળ બેસવા બાબતે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

ખંભાળિયા, તા. ૨૮ :. મિઠાપુરના સુરજકરાડીમાં સરાજાહેર યુવકની પાઈપ અને ધોકાના ઘા મારી હત્યા નિપજાવનાર ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લઈ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

સુરજકરાડીમાં આરંભડા સીમમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા લાલાભા આલાભા માણેક (ઉ.વ. ૩૫) નામના હિન્દુ વાઘેર યુવાન સુરજકરાડીમાં આવેલી હરસિદ્ધિ હોટલે ઉભીને ચા પીતા હતા ત્યારે ત્રણેક અજાણ્યા શખ્સોએ પાછળથી આવી હાથમાં રહેલા ધોકા અને પાઈપ વડે હુમલો કરી આડેધડ માર મારતા માથા અને શરીરના ભાગે ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યુ હતુ. ઘટનાના પગલે ડિવાયએસપી પણ સુરજકરાડી ખાતે દોડી ગયા હતા અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતા સમગ્ર બનાવ જોવા મળ્યો હતો. જેના આધારે મૃતકના ભાઈએ હુમલો કરનાર શખ્સોને ઓળખી બતાવતા મિઠાપુર પોલીસે હુમલો કરનાર પપ્પુભા ઉર્ફે સુનિલ ઉર્ફે રાહુલ અમરસંગભા જગતીયા રહે. સુરજકરાડી, ભુપતભા આશાભા માણેક રહે. હમુસર, વિજય કારૂભા સુમણીયા રહે. ગોરીજાવાળા વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૧૧૪ સહિત હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કરતા ગઈકાલે યુવક પર હુમલો કરનાર ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લઈ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હત્યાનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરાઈ છે.

મૃતકના ભાઈએ પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, અગાઉ આરોપીઓને મારી સાથે તથા મારા ભાઈની સાથે અમારા ઘરની દિવાલ પાછળ બેસવા બાબતે માથાકુટ થઈ હતી જેનો ખાર રાખી આ હુમલો કરી હત્યા નિપજાવવામાં આવી હતી. વધુ તપાસ ઈન્ચાર્જ પીએસઆઈ એમ.ડી. મકવાણા ચલાવી રહ્યા છે.

(12:50 pm IST)