Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વાંકાનેરના હસનપર ગામે બાવળોના જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઇ પ્રેમી પંખીડાએ જીવ દીધો

(ભાટી એન. દ્વારા) વાંકાનેર તા. ૨૮ : તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ સ્મશાન પાસેની અવાવરૂ જગ્યામાં જ્યાં બાવળોનું જંગલ છે ત્યાં ઘોઘાબાપાના ઓટાના વિશાળ બાવળની ડાળીએ હસનપર ગામના સંજય બટુકભાઇ સારલા (ઉં.વ. ૨૨) અને જ્યોતિ ઉર્ફે જાનકી મનિષભાઇ ઝંઝવાડીયા (ઉ.૧૭)એ સજોડે આપઘાત કરી લીધો છે.

જ્યોતિ એસએસસીનો અભ્યાસ કરે છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો અને બંને એક નહી થાય જેથી તા. ૨૭ની રાત્રીએ હસનપર ગામની સીમમાં બંને સાથે આવેલ સંજયે બ્લેક શર્ટ - સફેદ પેન્ટ પહેરેલ અને જ્યોતિએ જાંબલી ટી-શર્ટ અને ગુલાબી પેન્ટ જેવું પહેરેલ હતું. બંને રાત્રીના સમયગાળા દરમિયાન અહીં આવેલને દુપટ્ટાથી બંને બાજુબાજુમાં બાવળની ડાળે ગળેફાંસો ખાઇ પ્રાણ ત્યજી દેતા આજે સવારે ગામના લોકો ત્યાં જતા સંજય અને જ્યોતિ બાવળની ડાળે લટકતા જોવા મળ્યા હતા.

ગામના સરપંચ હસમુખ મુળજીભાઇ મકવાણાએ પોલીસને જાણ કરતા જમાદાર એમ.આર.ગામેતી તુરંત ઘટના સ્થળે આવી જઇ બંનેને લટકતા નીચે ઉતારી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ બનતા હસનપરના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને હસનપર ગામમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ છે.

(10:51 am IST)