Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કચ્છમાં હિટ એન્ડ રનમાં મોરબીના ૨ દેવીપૂજક યુવકના મોત

ભચાઉ પાસે રિપેરીંગમાં મુકેલુ વાહન લેવા જતી વખતે મોત આંબી ગયું: મોરબીના આ બન્ને દેવીપૂજક યુવાનો સામખીયાળીમા ડુંગળી વેંચતા'તા

ભુજ,તા.૨૮: ભચાઉ નેશનલ હાઇવે ઉપર હિટ એન્ડ રનના બનાવમાં બે યુવાનો કાળનો કોળિયો બની ગયા હતા. દેવીપૂજક સમાજના બન્ને યુવાનો મૂળ મોરબીના હતા અને સામખીયાળીમાં ડુંગળીનો ધંધો કરતા હતા. મૃતક નાનુ ઉર્ફે અજય લીભુ દેવીપૂજક અને અશ્વિન અશોક દેવીપૂજક સામખીયાળીથી બાઇક ઉપર ભચાઉ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અશ્વિન ગંભીર ઇજાગ્રસ્ત હોઈ તેને સારવાર માટે ભુજ ખસેડાઈ રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં જ તેને મોત આંબી ગયું હતું. આ હતભાગી દેવીપૂજક યુવાનો આમ તો બોલેરો જીપમાં ડુંગળી ભરી સામખીયાળીની આજુબાજુના અલગ અલગ ગામોમાં વ્યાપાર કરવા જતાં હતાં. પણ, તેમની જીપ બગડી ગઈ હોઈ તે રીપેરીંગ માટે ભચાઉ ગેરેજમાં રાખી હતી. તે જીપ લેવા સામખીયાળીથી ભચાઉ બાઇક ઉપર જતા હતા અને મોત આંબી ગયું.

બન્ને યુવાનોના મૃતદેહ મોરબી અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. આ અકસ્માત સંદર્ભે અજાણ્યા વાહન ચાલક સામે બાબુ દેવા કુંડિયા (દેવીપૂજક) દ્વારા પોલીસ ફરિયાદ લખવાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)