Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મોરબીવાસીઓને કોરોના મુકત થવા માટે વિજયભાઇ રૂપાણીએ ફેસબુકથી શુભેચ્છા પાઠવી

મોરબી તા. ૨૮: કોરોના પોઝીટીવ દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતા સમગ્ર મોરબી જિલ્લા હવે કોરોના મુકત થયો છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ફેસબુક લાઇવના માધ્યમથી  પત્રકાર દિલીપભાઇ બરાસરા સાથેની વાતચીતમાં મોરબી જિલ્લો કોરોના મુકત થતાં મોરબીવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ ફેસબુકના માધ્યમથી લાઇવ વાતચીતમાં મોરબીવાસીઓને સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, મોરબીના લોકો સાથે વાત કરવાનો મોકો મળ્યો તેનો આનંદ છે. મોરબી જિલ્લાના એક માત્ર કોરોનાના દર્દી પણ સાજા થઈ ગયા છે અને મોરબી જિલ્લો કોરોનામુકત બન્યો છે, તે બદલ મોરબી જિલ્લાને અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં કહ્યું કે મોરબી સિરામિક અને દ્યડિયાળ સહિતના સેલ્ફ ડેવલપ થયેલા ઉદ્યોગોથી વિશ્વવિખ્યાત બન્યું છે. ભૂતકાળ માં મચ્છુ જળ હોનારત જેવી કપરી સ્થિતિમાંથી બહાર આવીને મોરબી ફિનિકસ પક્ષીની જેમ પોતાના ખમીર અને સાહસના કારણે ફરી બેઠું થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાને ટક્કર મારી રહ્યો છે. મોરબીથી પણ ચાઇના માલ એકસપોર્ટ થવા લાગ્યો છે એ ગૌરવની બાબત છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોરબી જળ હોનારત વખતે તેમણે કરેલા સેવા કાર્યોને વાગોળતા જણાવ્યું કે જળ હોનારત વખતે હું ત્રણ મહિના મોરબી રાહત કામમાં રોકાયો હતો. જે રાહત કામનું મારુ પ્રથમ પગથિયું હતું.

(11:46 am IST)