Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સાયલાના કોટડામાં પતિએ બીજુ ઘર કરી લેતાં ઝેર પી લેનાર રેખાબેન વાળાનું મોત

રાજકોટ તા. ૨૮: સાયલાના કોટડા ગામે રેખાબેન નાગરભાઇ વાળા (વણકર) (ઉ.૨૭) નામની પરિણીતાએ પરમ દિવસે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેનું મોત નિપજ્યું છે.

રેખાબેનના માતા લાભુબેન ડાયાભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે રેખાબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. તેણીને સંતાન નથી. પતિ ટ્રેકટર લે-વેંચનું કામ કરે છે. રેખાબેન છેલ્લા અઢી વર્ષથી રિસામણે અમારા ગામ જાનીવડલા હતી. દરમિયાત તેના પતિએ એકાદ મહિના પહેલા બીજુ ઘર કરી લીધાની તેણીને જાણ થઇ હતી. આમ છતાં તે પતિ સાથે જ રહેવાનું નક્કી કરી અઠવાડીયા પહેલા તેના સાસરે કોટડા જતી રહી હતી. જ્યાં પરમદિવસે તેણીએ કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. અમને જાણ થતાં અમે ત્યાં ૧૦૮ મોકલી હતી અને ત્યાંથી તેણીને સારવાર માટે રાજકોટ ખસેડી હતી.

સારવાર દરમિયાન રેખાબેને દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી.

(11:28 am IST)