Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પોરબંદરમાં માઇક વિના માતાજીના ગુણગાન ગાવાની પરંપરા જાળવતી ૯૫ વર્ષ જુની અનોખી ગરબી

દિવેચા કોળી સમાજની પ્રાચીન ગરબીમાં માત્ર ભાઇઓ રમે છે : રમતી વખતે ટોપી પહેરવી ફરજિયાતઃ રામ સભા સહિત ધાર્મિક પાત્રોની વેશભુષા સાથેની ગરબી

પોરબંદર તા ૨૭ : દિવેચા કોળી સમાજ દ્વારા લીમડા ચોક ખાતેના શ્રી ભદ્રકાલી માતાજી મંદિરના પરિસરમાં પ્રાચીન સાંસ્કૃતિને અનુરૂપ પ્રતિવર્ષ યોજાતી આ ગરબી માંડળ ૭૫ વર્ષનો અમૃત મહોત્સવની ઉજવણી બાદ ૯૫માં વર્ષમાં પ્રવેશ કરે છે.

કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા ના જણાવ્યા મુજબ મા શકિતની ઉપાસનાથી માનવ હ્રદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઇ સોલંકી તથા તેના મિત્રોએ કરી હતી. સ્વ. જાદવભાઇએ ભદ્રકાલી માતાજીના ગરબાની સ્વરચના કરી હતી. સ્વર,તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે. જયાં માત્ર પુરૂષોજ ગરબી રમે છે. જયાં માઇકનો ઉપયોગ થતો નથી. પ્રદુષણ મુકત ગરબી છે અને આ ગરબી રમનારા પુરૂષો માટે ભાતીગળ ટોપી ફરજીયાત પહેરે છે તેવી સોૈરાષ્ટ્ર ભરની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે.

આ ગરબીમાં ડીસ્કો ધુનમાં ફાવે તેમ રંગે ઢંગે કે ઢાળના ગીતો ગવાતા નથી. માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઇ પણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને પુરૂષોએ ફરજિયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે.

આ આદ્યશકિતના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઇ છે. ગરબીમાં ઉઘાડુ માથુ ચાલે નહીં આધુનિક યુવાનોને પણ ટોપી પહેરવી પડે છે. ગરબીમાં આજે પણ કોળી સમાજના સક્રિય કાર્યકર એવા રામજીભાઇ બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય પ્રાચીન સંસ્કૃતિને વેશભુષામાં પણ ધોરણો જાળી રાખ્યા છે. રામ-સીતા-જાનકી-શિવ-પાર્વતી-નારદજી, ભિષ્મ પિતામહ વગેરે વેશો પુરૂષો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરૂષ સાથે ગાય છે, રમે છે.

પોરબંદર અને સોૈરાષ્ટ્ર ગુજરાતના ગોૈરવરૂપ સાંસ્કૃતિક વારસો સાચવતી એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોના ફાળે જાય છે. આ ગરબરીની વિશેષતા ગરબીમાં લાઉડ-સ્પીકર રાખવાની મનાઇ છે. માત્ર દૈવી શકિતની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા એ આ ગરબીનો મુખ્ય ઉદ્ેશ રહયો છે. રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં આ નવરાત્રીનો ૭૫માં વર્ષનો ઉત્સવ અમૃત મહોત્સવ ઉજવણી કરાઇ હતી.

પોરબંદરની ગોૈરવરૂપ અને ભારતી સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ-વિદેશના મેગેઝિનોમાં લેખરૂપે પ્રસિધ્ધ થતા, દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે. આ અગાઉ અમેરિકાની ડયુડ યુનિવર્સિટીના ડાન્સીંગ વિષયના નિષ્ણાંત પ્રો.ડો. પૂર્ણિમા શાહે પોરબંદરના પુરાતત્વવિદ સી. નરોતમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીનતાને લઇ ડોકયુમન્ટરી બનાવવા ટીમ  સાથે આવેલ હતા. આ ગરબી ગુજરાતનું નહીં હિન્દુસ્તાનનું યોૈરવ છે તેમ જણાવી લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિને જીંવીત રાખવાના પ્રયાસની કદર કરવા તેવી ભાવના વ્યકત કરી હતી.

ભદ્રકાલી ગરબી મંડળના પૂર્વ પ્રમુખ સ્વ. ભીમાબાપા માળીની રાહબરી હેઠળ પ્રમુખ રામજીભાઇ સી. બામણીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઇ બામણીયા, બાબુભાઇ લાલીયા,મંત્રી રામજીભાઇ મકવાણા, પ્રમેજીભાઇ વાજા, સહિતના પુવા કાર્યકરો તેમજ ભદ્કાલી માતાજી મંદિરના પુજારી શ્રી ચંન્દ્રકાંતભાઇ અને સ્વ. જનાર્ધન બાબુભાઇ વગેરેએ પ્રાચીન ઢબે છૅદ અને લયબધ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે.

આધુનિક નવરાત્રીમાં માં ની ભકિતના દર્શન કયાંય જોવા મળતાં નથી. નવરાત્રી મહોત્સવનું વ્યાપારીકરણ થઇ ગયું છે અને કાન ફાડી નાખે તેવા પ્રદુષણના અવાજો,  ડિસ્કો મ્યુઝીક-ડીજે  જેવા ઉપકરણો અને આધુનીક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રીની પારંપારિક ઓળખ ભુલાવી દીધી છે. શકિતની ભકિતના સ્થાને ફકત નાચગાન એ આજના યુવાનોની નવરાત્રી છે, ત્યારે એક માત્ર માઇક વગરની ભદ્રકાલી માતાજી મંદિરની વિશિષ્ટ ગરબીમાં ભકિત-શકિતની ઉપાસના જોવા મળે છે.

ભદ્રકાલીના ગરબાની સ્વરચના દિવેચા કોળી જ્ઞાતિના કવિ સ્વ. જાદવભાઇ લખમણભાઇ સોલંકીએ કરી હતી, તે ગરબાવલિમાં ૫૦ જેટલા ગરબાઓનો સમાવેશ કરીને આ ગરબાવલીનું પુનઃ મુદ્રક પ્રકાશિત કરવામાં આવેલ છે અને આ અનોખી ગરબી જોવા લોકો આવે છે. ગરબાવલી પુસ્તિકા અને અન્ય માહીતી માટે ભદ્રકાલી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઇ સી. બામણીયા, ભદ્રકાલી રોડ, વોર્ડ નં.-૭ શેરી નં.૨, પોરબંદર ફોન ૯૯૨૫૯ ૮૮૨૮૦ નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવાયું છે.

(11:27 am IST)