Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

આદિપુરની હોસ્પિટલમાં થી મોરબીના પરિવારની ૧૩ દિવસની દીકરીને કોઈ ઉપાડી જતાં ચકચાર

(ભુજ) આદિપુરની વાત્સલ્ય હોસ્પિટલમાંથી ૧૩ દિવસની નવજાત બાળકી ઉપડી જતાં ચકચાર મચી જવા પામી છે. હાલે મોરબીના લાલપુરમાં રહેતા પણ દીકરીની સારવાર માટે આદિપુર  આવેલા ગીતાબેન અરવિંદ સુજાએ આ અંગે આદિપુર પોલીસમાં ફરિયાદ કરી છે.  પોતાને ૭ મહિને પ્રસૂતિની પીડા ઊપડ્યા બાદ તેમને આદિપુર લઈ અવાયા હતા. 

અહીં બાળકીનો જન્મ થયો હતો પણ તે સાત મહિને જન્મી હોઈ તેને આદિપુરમાં વાત્સલ્ય હોસ્પિટલ મધ્યે ઇન્કયુબેટર (પેટી) માં રખાઈ હતી. દીકરીને ફરી તકલીફ થતાં તેઓ મોરબીથી વાત્સલ્ય હોસ્પિટલ મધ્યે ડો. જિતેન્દ્ર સોલંકી પાસે સારવાર લેવા પોતાની ૧૩ દિવસની દીકરીને લઈ આવ્યા હતા. તે દરમ્યાન  રાત્રે ૨ વાગ્યાના અરસામાં કોઈ આ બાળકીને ઉઠાવી ગયું હતું. 

આ હોસ્પિટલમાં સીસી ટીવી નથી. જોકે, પોલિસે તપાસ શરૂ કરી છે. દરમ્યાન બાળકી ઉપડી જવાના સમાચારે ચકચાર સાથે ચર્ચા સર્જી છે. ફરિયાદી ગીતાબેન મૂળ રાપરના કીડીયાનગર ના છે હાલે મોરબી લાલપુર રહે છે.

(10:06 am IST)