Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમરેલી જિલ્લામાં વાવાઝોડાની સહાય મુદ્દે રી-સર્વે કરો : પરેશ ધાનાણી

બે મહિના વિતી ગયા છતાં જરૂરીયાતમંદો સહાયથી વંચિત : અમરેલીમાં આવેદન

 

રાજકોટ તા.૨૭ : તૌકતે વાવાઝોડા સંદર્ભ વિવિધ સહાય ચુકવણીમાં થયેલ વિસંગતતા બાબતે રેસર્વે કરાવવાની લોકમાંગ ઉભી થયેલ છે. લોકમાંગને લઈને રાજુલા - જાફરાબાદ - ખાંભાનાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને સાથે રાખીને અમરેલી જિલ્લામાં રિ-સર્વે કરાવવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમરેલી જીલ્લા કલેકટરશ્રીને આવેદપત્ર પાઠવ્યુ હતું. આ તકે રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ૨ મહિના પહેલા અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને દરિયાઈપટ્ટી ઉપર તૌકેત વાવાઝોડાએ જે તબાહી સર્જી છે તે ખુબજ ભયાવહ હતી. ત્યારબાદ સરકાર શ્રી દ્વારા જે વિવિધ પ્રકારની સહાય લોકોને મદદરુપ થવા માટે આપવામાં આવી છે એમાં ખૂબ જ મોટી વિસંગતતાઓ છે.

રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાઓમાં લોકો દ્વારા ક્રમશઃ આવેદનપત્ર આપીને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ તેમ છતાં પણ કોઈ નિરાકરણ થયેલ નથી તેથી આજે રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસ પરિવારે આવેદનપત્ર આપીને અમારા પ્રશ્ન સરકારશ્રી સુધી પહોંચે એના માટે અપીલ કરી હતી.

આશા રાખીએ કે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં જે લોકોને અન્યાય થયો છે તેને ન્યાય મળે એ માટે સરકારશ્રી તરફથી તૌકેત વાવાઝોડા સહાય સંદર્ભે રી-સર્વેના હુકમો કરવામાં આવે જેથી કરીને બધા લોકોનું ભલું થઈ શકે. તેમ રાજુલા જાફરાબાદ ખાંભા કોંગ્રેસ પરિવારે જણાવ્યું છે.

આ તકે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની ૧૫ હજાર કરોડની નુકસાની સામે માત્ર ૧ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે જે ખૂબ જ ઓછું છે. વાવાઝોડાને ૨ મહિના વિતી ગયા છતાં પરિસ્થિતિ સુધરી નથી.

પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગરીબો - મજુરોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકનો નાશ થયો છે. સાગરખેડૂઓની અનેક બોટોએ જળસમાધી લીધી છે. નેવા વગરના છાપરામાં લોકો રહે છે. સરકારના ઇશારે તંત્ર કામ કરે છે.

ત્યારે સરકાર જરૂરીયાતમંદોને સહાય આપે તેવી માંગણી પરેશભાઇ ધાનાણીએ કરી છે.

(12:57 pm IST)