Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પિતા અને બે પુત્રોએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

કરીમભાઇ નોડે અને તેના પુત્ર ઇકબાલ તથા અકબર હોસ્પીટલમાં: સ્યુસાઇડ નોટ લખી

મોરબી તા.૨૭: મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા મુસ્લિમ પરિવારના બે ભાઇઓ અને પિતાએ એક સાથે દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા ને પિતા અને પુત્રોએ વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ કોઇ રસ્તો ના મળતા આપઘાતનો પ્રયાસ કર્યો હોય અને દવા પીનાર યુવાને સુસાઇડ નોટ પણ લખી હતી.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પરના રહેવાસી ઇકબાલભાઇ કરીમભાઇ નોડે, અકબરભાઇ કરીમભાઇ નોડે અને તેના પિતા કરીમભાઇ મામદભાઇ નોડે એમ ત્રણ પિતા પુત્ર દવા પી આપઘાતનો પ્રયાસ કરતા શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઇ હતી અને બનાવ અંગે તપાસ ચલાવી છે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર લાખો રૂપિયા વ્યાજે લીધા હોય અને વ્યાજના વિષચક્રમાં ફસાયા બાદ વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્રોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે હજુ સુધી આ બનાવ અંગે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી.

(11:32 am IST)