Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

વર્ષો પછી વાયવ્યની ફણગીએ શરૂઆતમાં સાર્વત્રિક વરસાદના સંકેત

અખાત્રીજના આથમણા પવનને 'વનરાજી ખીલી ઊઠે'તેવો વર્તારો આપ્યો

બગસરા,તા.૨૭: અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી પાંચ વાગ્યા સુધી આથમણી દિશામાંથી પવન વાતા વનરાજી ખીલી ઉઠેનો વરતારો આપ્યો હતો.

વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ રહ્યું છે આ વર્ષે અખત્રીજ ની  વહેલી સવારે ૩ વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાય ને પૂર્વ તરફ ગયો હતો. જેથી ચોમાસાની શરૂઆત સમયસર થાય તેવી શકયતા વર્તાઇ હતી.  આથમણો પવન વાતા'વનરાજી ખીલી ઉઠે' તેવો  વરતારો થાય. વર્ષો પછી આખાત્રીજના દિવસે વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગી આવતા ચોમાસા ની શરૂઆત તથા અંત ભાગમાં ખૂબ જ સારા વરસાદની શકયતા જાણકારો માની રહ્યાં છે. સાથે-સાથે વહેલી સવારે પાંચ વાગ્યે વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગીઓ આવતા ખંડવૃષ્ટિ ની શકયતા ચોમાસાનાં મધ્યભાગમાં અભ્યાસુઓ દ્વારા માનવામાં આવી રહી છે. બગસરા થી  દર્શન ઠાકરના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીની જાળ તથા ચૈત્રી દનૈયા  દરમિયાન આકરા તાપથી થી સારા ચોમાસાનાં કુદરતી અણસાર મળેલ છે. એકંદરે  આવનાર ચોમાસું  ગત વર્ષના  ચોમાસાઓ કરતા  સારું રહેશે તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે, ત્યારે પાકને પાણીની સ્થિતી સારી રહે તેવી શ્રદ્ઘા રાખીએ.

(12:13 pm IST)