Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આજે વિશ્વ રંગભૂમિ દિવસ : ભવાઇ લોકકલા લુપ્ત થવાના આરે...

ટીવી, ટોકીઝ, સોશ્યલ મિડીયાનું પ્રમાણ વધતા હવે કોઇને ભવાઇ જોવી ગમતી નથી : મહાકાળી ભવાઇ મંડળ બાળા (નળીયા)ના કલાકાર કનુભાઇ વ્યાસ

વઢવાણ : ભવાઇ કલાકારો ભવાઇ કલા રજુ કરતા નજરે પડે છે. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૬ : આ ધંધામા હવે પેલા જેવી મજા નથી. પહેલા અમારી ભવાઈ અને ભવૈયાની પ્રતિષ્ઠા હતી. ગામલોકો સામેથી ભવાઈ ભજવવા બોલાવતા, પ્રેમથી રાખતા, જમાડતા પણ હવે જમાનો બદલાયો છે. ટી.વી., સિનેમા અને ઈન્ટરનેટ આવતા ભવાઈ સાવ ભુલાતી જાય છે. હવે કોઈને ભવાઈ જોવી ગમતી નથી આવુ કહેવુ છે. મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા)ના કલાકાર કનુભાઈ ગંગારામ વ્યાસનુ.આજે ૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે. ત્યારે વિસરાઈ રહેલી ભવાઈની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો પરસેવો પાડી રહ્યા છે.

હાલ આધુનિક યુગ ઈન્ટરનેટના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવામા સમાઈ ગઈ છે. મનોરંજન હાથવગુ બની ગયુ છે. પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતુ.આપણા દેશમા દરેક પ્રાંતમા પોતાના લોકનૃત્ય અને લોકનાટ્યના વિશિષ્ટ તળપદા પ્રકારો જોવા મળે છે. આંધ્રપ્રદેશમા પક્ષગાન, મહારાષ્ટ્રમા તમાશા, બંગાળ અને બિહારમા જાતરા, હરિયાણા અને પંજાબમા સ્વાંગ, ઉતરપ્રદેશ મા નૌટંકી, તમિલનાડુમા તેરુકુટુ, મધ્ય ભારતમા માચ અને ગુજરાતમા ભવાઈ.

ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે.ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર ૧૪ મી સદીમા થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે ૩૬૦ વેશો રચ્યા હતા. જેમા પુરબીયો, કાનગોપી, જુઠણ, લાલબટાઉ, જોગી જોગણ, જસમા ઓડણ,વણઝારાનો વેશ, મણીયારોના વેશો જાણીતા છે.ભવાઈમા બધા પાત્રો પુરુષો દ્વારા જ ભજવાય છે. સ્ત્રીનુ પાત્ર પણ પુરૂષ જ ભજવે છે. ભવાઈનુ પાત્ર ભજવનારને કયારેય માઈકની જરૂર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ગામમા ભૂંગળનો અવાજ સાંભળીને ગામ લોકો ભવાઈ જોવા ભેગા થઈ જતા. ભવાઈમા ભૂંગળ, તબલા, વાજા પેટી અને ઝાંઝનો જ તાલ લેવાતો. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે. જયારે આધુનિક યુગ નહોતો ત્યારે મનોરંજનની સાથે સાથે લોકશિક્ષણનુ પણ કાર્ય કર્યુ છે. મોહનદાસને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો રહેલો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રયોગોમા લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંંદ્રના નાટક જોઈને મળી હતી. ભવાઈ એ નાટકો અને રંગભૂમિને સારા કાલાકારો પુરા પાડ્યા છે. ત્યારે વિસરાતી જતી આવી કળાને બચાવવા મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા) ના કલાકારો મથામણ કરી રહ્યા છે. મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા) ના કલાકારો કનુભાઈ, મનહરભાઈ, જીતુભાઈ, વસંતભાઈ, ભરતભાઈ, ખોડુભાઈ વગેરે જુના સંસ્મરણો વાગોળતા કહે છે કે પેલા અમે જયારે ભવાઈ ભજવવા ગામડાઓમા જતા ત્યારે અમારૂ ઢોલ નગારા લઈને સ્વાગત કરતા હતા અને અત્યારે ...!!

વિચરતા સમુદાય સમર્થન મંચ અને સુરેન્દ્રનગર જીલ્લા ભવૈયા સમાજ સંગઠનના આગેવાન હર્ષદ કે.વ્યાસ જણાવે છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ઘણી બધી સંસ્થાઓના પ્રયત્નો થી મોરારીબાપુની રામકથામા, દિલ્હી ઓલિમ્પિક થીયેટરમા, સોમનાથ અનુરાધાબેન પૌડવાલની હાજરીમા, MTVમા, દુરદર્શન અને વિદેશમા પણ ભવાઈ ભજવવાનો મોકો મળ્યો છે. પરંતુ સરકારને પણ લુપ્ત થતી જતી ભવાઈને બચાવવા પ્રયત્નો કરવા જોઈએ.

સરકારની યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી, સાક્ષરતા અભિયાન, દહેજ નાબુદી, અંધશ્રદ્ઘા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાના પ્રચાર અને પ્રસારમા ભવાઈના માધ્યમથી સંદેશો પહોચાડવામા આવે તો ભવાઈ કલાકારો અને ભવાઈના ભૂંગળ બચી શકે.!!

(11:53 am IST)