Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ગ્રામ પંચાયત, ભાઇઓ-બહેનોના મંડળ તેમજ મૈત્રી ગ્રુપ દ્વારા કમળાપુરમાં શ્રમદાન

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૭ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ અને સી.એલ.પી. વિન્ડ ફાર્મ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડના સંયુકત ઉપક્રમે જસદણ અને ચોટીલા તાલુકાના ૦૯ ગામોમાં 'આરોહણ' પ્રોજેકટનો બીજો તબક્કો શરૂ કરવામાં આવેલ છે પ્રોજેકટ અંતર્ગત ગામોમાં પાણી, આજીવિકા અને શિક્ષણ સંબધી કામો કરવામાં આવી રહ્યા છે.

આરોહણ પ્રોજેકટ અંતર્ગત ૧૭મી માર્ચના રોજ કમળાપુર ગામમાં ચાલતા બહેનોના મંડળો દ્વારા શ્રમદાનનું આયોજન કરવામાં આવેલ જેમાં ગામમાં આવેલ સ્મશાનની સફાઈ કરી બગીચામાંથી ઘાસ કાઢ્યું અને વ્યવસ્થિત કયારાઓ બનાવી પાણી પાવામાં આવ્યું. તેમજ આવેલા બધા લોકોએ પ્રતિજ્ઞા લીધી કે અમે આજથી કચરો કચરાપેટીમાં જ નાખીશું. ગામમાં ઉકરડા નહી કરીએ. જરૂર પુરતું જ પાણી વાપરશું વગેરે જેમાં કમળાપુર ગ્રામપંચાયત, બહેનોના મંડળ, અને મૈત્રી ગ્રુપનો તેમજ ગામલોકોનો ખુબ સારો સહયોગ મળ્યો હતો.

બહેનો તથા ભાઈઓ નિર્ધારિત સમય મુજબ ૨ વાગ્યે સ્મશાનમાં સફાઈ માટે જરૂરી સાધનો લઇ ભેગા થયા અને સાથે મળીને સ્મશાનમાં બિનજરૂરી ઉગી નિકળેલ ઘાસ, સુકા પાંદડા તેમજ કચરો સાફ કરી ગામ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરવામાં આવી હતી. જેમાં ૧૦ ભાઈઓ ૨૬ બહેનો તથા બાળકોએ સાથે રહી ખુબજ ઉત્શાહ ભેર કામગીરી કરી હતી.

બહેનોએ સાથે મળીને અંતે કચરો કચરાપેટીમા જ ફેકવાની તેમજ પાણીનો જરૂર પુરતો જ ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન સુમન રાઠોડે આપ્યું હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રીટા વોરા, અરજણ સાકરિયા, વૃન્દા ખાતરા એ જહેમત ઉઠાવી હતી.

(11:49 am IST)