Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

તળાજાના દેવલીમાં માતાએ પુત્રી સાથે પતિની નિર્મમ હત્યા કરી સળગાવી દીધા :જાતે જ પોલીસ મથકે હાજર: પંથકમાં અરેરાટી

જમીન જાયદાદ અને ગૃહકંકાશ ભરખી ગયો ;ખાટલા પર બળેલી હાલતમાં લાશ મળી

તળાજાના દેવલી ગામે માતા પુત્રીએ મળી પિતા અને પતિની નિર્મમ હત્યા કરી સળગાવી જાતે જ પોલીસ મથકમાં હાજર થતા દેવલી ગામમાં સન્નાટો ફેલાયો હતો માતા અને પુત્રીએ મળી હત્યાની ઘટનાને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

  મળતી વિગત મુજબ તળાજાના નવી દેવલી ખાતે રહેતા અને મૂળ દેવગાણાના વતની એવા જેરામભાઈ ગોરધનભાઈ જાળેલા (ઉવ.48)ની લાશ ખાટલા પર બળી ગયેલી હાલતમાં હોવાનું સામે આવતા જ પોલીસ કાફલો દેવલી ગામે ઘસી ગયો હતો.

  મૃતક પાસે લાખો રૂપિયાની જમીન જાયદાદ હતી, 10 વીઘા જમીન દાવલીમાં અને 20 વિધા જમિન વતનમાં હતી અને તેવામાં તે પત્ની પર ચારિત્ર્ય અંગેની શંકા કરતો અને તેથી જ બંને વચ્ચે અવારનવાર ગૃહ કલેશ થતો જેના કારણે પત્ની વસંતબેન અને પુત્રી આરતીબેન અને બંને દીકરા સાથે 6 વર્ષથી પોતાના પિયર અલગ રહેવા જતા રહ્યા હતા.

 આ દરમ્યાન બંને વચ્ચે સમાધાનના અનેક પ્રયત્નો કરવામાં આવેલા, પરંતુ ચરિત્રની શંકાના આધારે જેરામભાઈએ તેને સ્વીકારવાનીના પાડી દીધી હતી. જેનો બદલો લેવા પત્ની વસંતબેન દ્વારા પતિની મિલકતમાં પોતાનો હિસ્સો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે

  બનાવ અંગેની જાણ થતાં જ તળાજા PI ગઢવી, DYSP જાડેજા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને મૃતકની ડેડબોડીને PM માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
  મૃતકના પરિવારના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર મામલામાં હત્યારાઓ વધુ છે, મૃતક પાસે મોટી મિલકત હોવાના કારણે હત્યારાઓએ પહેલા મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી ખાટલા સાથે બાંધી ઉપર તલની સાંઠીના પૂળા નાખી સળગાવી દીધેલ છે, એટલું જ નહી મૃતકના ઘરમાં રહેલા દસ્તાવેજ, ઘરેણાં રોકડ સહીતનો મુદ્દમાલ લઇ પણ નાસી ગયેલ છે. આ અંગેની પોલીસને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા યોગ્ય તાપસના થતી હોવાનો આક્ષેપ પણ પરિવાર કરી રહ્યા છે.

(1:22 pm IST)