Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ચોટીલામાં બે બાઇક અથડતાં બ્રાહ્મણ વેપારી જીતેન્દ્રભાઇ વ્યાસનું મોત

સુરજદેવળથી દર્શન કરીને ચોટીલા આવ્યા ને અકસ્માત નડ્યોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ મિત્ર પ્રફુલભાઇને ઇજા

રાજકોટ તા. ૨૬: ચોટીલાના પંચનાથનગરમાં બે બાઇક સામ-સામે અથડાતાં બ્રાહ્મણ વૃધ્ધ જીતેન્દ્રભાઇ મધુસુદનભાઇ વ્યાસ (ઉ.૬૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ ચોટીલા શાસ્ત્રીનગરમાં રહેતાં જીતેન્દ્રભાઇ વ્યાસ ગઇકાલે મિત્ર પ્રફુલભાઇ સાથે બાઇક લઇ સુરજદેવળ ગામે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી સાંજે સાતેક વાગ્યે પરત ચોટીલા આવ્યા ત્યારે પંચનાથનગરમાં જીતેન્દ્રભાઇના બાઇક સાથે સામેથી બીજુ બાઇક અથડતાં તે તથા પાછળ બેઠેલા પ્રફુલભાઇ ફંગોળાઇ ગયા હતાં. જીતેન્દ્રભાઇને ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાત્રીના દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને જયદિપભાઇ ધોળકીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઇ વેપાર કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

(12:07 pm IST)