News of Wednesday, 26th June 2019
મોરબી તા.ર૬ : મોરબીના મકનસર પાસે અજાણ્યા યુવાનની હત્યામાં પકડાયેલ પોલીસ કર્મચારી સહિત ત્રણને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.
પ્રાપ્ત વિગતો મુજબ મકનસર નજીક શીતળામાં મંદિર નજીકથી અજાણ્યા પુરુષ અંદાજે (ઉ.વ.૨૫ થી ૨૭) વાળાનો મૃતદેહ મળી આવ્યા બાદ તેનું માર મારવાને કારણે મોત થયાનો ખુલાસો થયા બાદ તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી અને પોલીસ હેડ કવાર્ટરમાં આવાસ બનાવવાનું કામ રાખનારા મૂળ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ન્યુ તલવાણા ગામના રહેવાસી કોન્ટ્રાકટર રાકેશ છોટાલાલ રાઠોડ (ઉ ૪૦)એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કમર્ચારી કિશોરભાઈ, જીઆરડી જવાન હાર્દિક ઉર્ફે લાલો બરાસરા, કમલેશ દેગામાં અને અન્ય ત્રણ જીઆરડી જવાનો એ મૃતકને કોઈ કારણોસર પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી હત્યા કરી હોવાની ફરિયાદ નોધાવી હતી જે ફરિયાદને પગલે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમે તપાસ ચલાવી અને આરોપી પોલીસ કર્મચારી કિશોરભાઈ છગનભાઈ ગોલાણી, એસઆરપી ગ્રુપ ૧૭ ચેલા જામનગર ગ્રુપ (ઉ.વ.૩૬) હાર્દિક ઉર્ફે લાલો ડાયાભાઇ બરાસરા (ઉ.વ.૨૩) અને કમલેશ ઉર્ફે કમાભાઈ સુખદેવભાઈ દેગામાં (ઉ.વ.૨૮) બંને જીઆરડી જવાનો સહીત ત્રણેય ગુન્હાની કબુલાત આપતા ધરપકડ કરાઇ હતી. ત્રણેયને આજે સાંજે રીમાન્ડ અર્થે ( કોર્ટમાં રજુ કરાનાર છે.
મોબાઈલ ચોરીની શંકા રાખી યુવાનને પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ ઢોર માર માર્યો હતો જેથી માર મારનાર ટોળામાં કયાં શખ્શો હતા તેની પૂછપરછ કરી ધરપકડ કરાશે તેમજ ફરિયાદ મુજબ હજુ ત્રણ આરોપી ફરાર હોય જેથી હજુ ૪ થી ૫ લોકોની અટકાયત થાય તેવી શકયતા જણાઈ રહી છે તે ઉપરાંત મૃતક યુવાન મધ્યપ્રદેશનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ તેની ઓળખ થઇ નથી જેથી પરિવારની શોધખોળ ચલાવી રહ્યા છે અને ઓળખ મેળવવા માટે તપાસ ચલાવવામાં આવી રહી છે.