Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સોમવારથી કિમોથેરાપીની સારવાર શરૂ થશે

કિમોથેરાપીની સારવાર માટે હવે લોકોને અમદાવાદ, રાજકોટના ધક્કા નહીં ખાવા પડે : ખાનગી હોસ્પિટલોમાં કિમોથેરાપીમાં ૧૦ હજારથી લઇને ૨ લાખ રૂપિયા સુધીમાં અપાતું ઇન્જેકશન સિવીલમાં વિના મુલ્યે અપાશે : ઉજજૈન ખાતેથી તાલીમ મેળવનાર મેડિકલ ઓફિસર રોજના ૧૦ થી વધુ દર્દીઓને સારવાર આપશે

જૂનાગઢ તા.૨પઃ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.અજય પરમાર થોડા સમય પહેલા ઉજૈન ખાતે કિમોથેરાપીની તાલીમ લઇ આવ્યા છે અને હવે તઓેનેે સોમવારથી જૂનાગઢ સિવીલના ૫ માળે સવારે ૯ થી ૫ વાગ્યા સુધી પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર આપવામાં આવશે. જેના માટે પુરતા સાધનો સાથે તાલીમબધ્ધ સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ઉજૈન ખાતે વિવિધ જિલ્લાની સિવીલ હોસ્પિટલના ૮ તબીબોને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો.દિનેશ પેન્ઢારકરના માર્ગદર્શન હેઠળ ૧ માસની કિમોથેરાપીની ખાસ તાલીમ આપવામાં આવી હતી.

જૂનાગઢ સિવીલમાં છેલ્લા ૬ વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.અજય પરમારે આ કિમોથેરાપીની સારવાર મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે, ઉજૈન ખાતે ૧ માસની કિમોથેરાપીની તાલીમ મેળવી છે. ત્યારે હવે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન અને આરએમઓ તનસુખ સોલંકીના માર્ગદર્શન હેઠળ તા.૨૮-૧૨-૨૦૨૦ને સોમવારથી સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવશે. મંગળવાર અને શુક્રવારે થેલેસેમિયાની સારવાર ચાલતી હોવાથી આ બે દિવસ કિમોથેરાપીની સારવાર બંધ રહેશે.

જૂનાગઢ સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ થતા દર્દીઓને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે અને નજીકમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કિમોથેરાપીની સારવાર વિનામૂલ્યે મળી રહેશે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટશનના ખર્ચમાં પણ બચત થશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા અને આસપાસ સહિતના વિસ્તારમાંથી કેન્સરના અંદાજીત ૫૦૦૦ જેટલા દર્દીઓ નોંધાયેલા છે. જેમાં ખાસ કરીને મોઢા અને બ્રેસ્ટ કેન્સર વધુ જોવા મળે છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓનું કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું છે.

મોઢાના કેન્સરમાં ખાસ કરીને તમાકુ અને તમાકુયુકત માવાના સેવનથી વધારે કેન્સર ફેલાય છે. જો તમાકુનું સેવન બંધ કરવામાં આવે તો કેન્સરનાં પ્રમાણમાં દ્યટાડો આવી શકે છે.

જૂનાગઢ સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ થતા ઊના, દીવ, કેશોદ, ગીર સોમનાથ, અમરેલી સહિતના દર્દીઓને સારવાર મળી રહેશે અને અમદાવાદ, રાજકોટ શહેરોમાં સારવાર લેવા જવું નહીં પડે તે ઉપરાંત અહીંયા વિના મુલ્યે સારવાર મળતા ખર્ચમાં પણ બચત થશે. કારણે ખાનગી હોસ્પિટલોમાં કિમોથેરાપીનું એક ઇન્જેકશન ૧૦ હજારથી લઇને ૨ લાખ રૂપિયા સુધીનું આપવામાં આવે છે. જયારે જૂનાગઢ સિવીલમાં આ ઇન્જેકશન વિના મુલ્યે આપવામાં આવશે.

(12:50 pm IST)