Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

ભાવનગરના ચિત્રાફુલસરમાં આઘેડ શખ્સની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદ

ભાવનગર તા.રપ : અત્રે અઢી વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ચિત્રાફુલસર વિસ્તારમાં નજીવી બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી આઘેડની હત્યા કરનારા આરોપીની સામેનો કેસ ભાવનગરના એડીશ્નલ સેસન્સ જ્જની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે હત્યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા અને રૂ.પ૦૦૦નો રોકડ દંડ ફટકાર્યો હતો.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં રહેતા ધનજીભાઇ પોપટભાઇ રાઠોડ (ઉ.વ.પપ) નામના આઘેડને આજ વિસ્તારમાં રહેતા રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતભાઇ મકવાણા નામના શખ્સે કોઇ સામાન્ય અને નજીવી બાબતે ઠપકો આપતા તેની દાઝ રાખી ઉશ્કેરાઇ જઇ રઘુવીર ઉર્ફે રઘુ મકવાણાએ ગત તા.૧૦-પ-ર૦૧પના રોજ છરીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા ધનજીભાઇનું મોત નિપજયુ હતુ. આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.

જે તે સમયે મરણ જનારના પુત્ર સંજયભાઇ રાઠોડે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતભાઇ મકવાણા વિરૂધ્ધમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના એડીશ્નલ સેસન્સ જ્જ કુમારી કે.આર.પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વી.બી.રાણાની દલીલો, સાક્ષીઓ-૧૯, દસ્તાવેજી પુરાવા-૩૪ સહિતની બાબતો ધ્યાને લઇ આરોપી રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતભાઇ મકવાણા સામેનો હત્યાનો ગુનો સાબીત માની આરોપીને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.પ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

(11:42 am IST)