Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ગત મોડી રાત્રીના વાંકાનેર તાલુકાના શેખરડી-દિઘલીયા ગામ જવાના રસ્તે વોકળામાં તણાયેલી કાર સાથે તણાયેલા ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યા : પંથકમાં ફેલાઈ અરેરાટી : બે યુવાનોનો બચાવ થયા હતો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના શેખરડી-દિઘલીયા ગામ જવાના રસ્તે વોકળામાં ગત મોડી રાત્રીના એક કારમા પાંચ યુવાનો કાર સાથે તણાઈ ગયા હતા. જેમાંથી બે યુવાનોનો બચાવ થઈ ગયો હતો. જો કે બાકીના ત્રણ યુવાનોના આજે મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગયેલ છે.

ખારોડીયા વોંકળામાં ગત મોડી રાત્રીના મારૂતિ કાર જીજે 13 એએમ 4743 તણાઈ ગઈ હતી. જેમાં સવાર પાંચ યુવાનો પણ પાણીમાં તણાઈ ગયા હતા. જેમાંથી પિન્ટુભાઈ મેણીયા અને ગૌરવ સાપરા નામના બે યુવાનો કારમાથી બહાર નીકળવામાં સફળ થતા તેમનો બચાવ થયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવાનો કાર સાથે તણાઇ જતા તંત્ર દ્વારા તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી.

જેમાં લાપતા થયેલા ત્રણેય યુવાનો કાલીયા જયદીપ ઘનશ્યામભાઈ (ઉ.વ. 32, રહે. સુરેન્દ્રનગર), બાવળીયા યોગેશ જાદવભાઈ (ઉ.વ. 32, રહે. નગરા, જી. સુરેન્દ્રનગર) અને બાવળીયા નરશી ગંગારામ (ઉ.વ. 29, રહે. નગરા, જી. સુરેન્દ્રનગર)ના ઘટના સ્થળેથી અંદાજે 100-150 ફૂટના અંતરે મૃતદેહ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મૃતક યુવાનો તેમના મિત્રો સાથે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતાં..જ્યાંથી પરત ફરતી વેળાએ આ યુવાનો સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

(11:58 pm IST)