Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

હિંગોળગઢને પર્યટન સ્થળ તરીકે વિકસાવા આયોજન હાથ ધરાશે : કુંવરજીભાઈ બાવળીયા

ગીર ફાઉન્ડેશન કમિટીની મળી ગયેલ બેઠક : વૃક્ષારોપણ કરાયુ : ઉપસ્થિત તમામને માસ્ક અને હેન્ડ સેનેટાઇઝર કીટનું વિતરણ

રાજકોટ તાઃ ગીર ફાઉન્ડેશન સંચાલીત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વિંછીયા તાલુકાના પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ, હિંગોળગઢ ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને હિંગોળગઢ અભ્યારણ ગીર ફાઉન્ડેશન કમિટીની બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ અભ્યારણના વિવિધ વિસ્તારની મુલાકાત લઈને થતી કામગીરીની સમિક્ષા કરી હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર વન સંપદા, જન્યજીવ તથા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કાર્યરત છે. જસદણ વિંંછીયાના લોકોને ઘરઆંગણે આટલુ સરસ વન અભ્યારણ્ય મળ્યું છે. અહીં વૃક્ષો,પક્ષીઓ, પ્રાણીઓની વિવીધ પ્રકારની અનેક પ્રજાતીઓ જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં હિંગોળગઢને પર્યટન સ્થળ તરીકે વિકસાવા આયોજન હાથ ધરાશે. યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓની પરખ થાય તે માટે પ્રાકૃતિક શિક્ષણ શિબીરનું સુચારૂ આયોજન કરવામાં આવે છે.  અત્રે ઉલ્લેખનિય છે કે, હિંગોળગઢ - પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ ૬૫૪ હેકટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ ૧૯૮૨ થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. અહીં કુલ ૬૬ કુળની ૧૫૫ જેટલી વનસ્પતિની પ્રજાતીઓ નોંધાયેલી છે. ૨૨૯ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કુલ ૬૨ પ્રકારના પ્રાણીઓની પ્રજાતી જોવા મળે છે. જે પૈકી ૨૧ પ્રકારના સસ્તનધારી પ્રાણીઓની પ્રજાતિ, ૮ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, ૩૩ જાતના સરીસૃપ પ્રણીાઓની પ્રજાતી જોવા મળે છે. આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જાય છે. જેને અટકાવવાના નવતર અભિગમ રૂપે ચાલુ વર્ષે ૮૫ જેટલા માટી પાળા અને પથ્થર પાળા કરવામાં આવ્યા છે. જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે. બેઠક પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણથી બચવા ગીર ફાઉન્ડેશનની નવતર પહેલના રૂપે ઉપસ્થિતોને હેન્ડ સેનેટાઈઝર અને માસ્કની કિટ આપવામાં આવી હતી. આ તકે ગીર ફાઉન્ડેશનના નિયામકશ્રી રવિદત્ત્। કંબોજ, વન વિભાગના નાયબ નિયામક શ્રી આઈ.કે.બારડ, મદદનીશ નિયામક ગીર ફાઉન્ડેશન શ્રી વિભાબેન ગોસ્વામી, આર.એફ.ઓ. શ્રી આરીફભાઈ ઠેબા તથા આસપાસ વિસ્તારના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:56 am IST)