જામનગરઃ જિલ્લામાં ભારતના સૌથી મોટા યુધ્ધો પૈકીનું એક ઐતિહાસિક યુદ્ઘ ભૂચરમોરી યુધ્ધભૂમિ પર ખેલાયું હતું. તેના મેદાનને અને તેના શહીદોની શહાદતને આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત કરવા અને ઇતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી અંકિત કરવા આજરોજ ધ્રોલ તાલુકના ભૂચરમોરી યુધ્ધમેદાન ખાતે રાજપૂત સમાજની બે હજારથી વધુ બહેનો દ્વારા ભૂચરમોરીની યુધ્ધભૂમિ પર તલવાર બાજી કરી વિક્રમ સર્જવામાં આવ્યો હતો. ક્ષત્રિયોના આશરા ધર્મની મહાન ગાથાને યાદ કરાવતા ભુચરમોરી પરના વિશ્વવિક્રમ સર્જનના પ્રસંગે કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી રીટાયર્ડ જનરલ વી. કે. સિંહ તથા યુ.પી.ના સાંસદશ્રી જગદંબિકા પાલ સાક્ષી રહ્યા હતા. જયાં તેમને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા રાજપૂત સમાજ દ્વારા આવકારવામાં આવ્યા હતા તેમજ કેન્દ્રિય રાજયમંત્રીશ્રીએ ધ્રોલ ઠાકોરને પુષ્પહાર અર્પણ કરીને વંદન કર્યા હતા.
અખિલ ભારતીય ગુજરાત રાજપૂત યુવા સંદ્ય આયોજિત ૨૮મો ભૂચરમોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસની શીતળા સાતમના રોજ ધ્રોલ તાલુકા ખાતે ભૂચરમોરી યુધ્ધ મેદાનમાં યોજવામાં આવ્યો હતું.
આ સમયે ભૂચરમોરી યુદ્ઘના શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પણ કરતાં મંત્રીશ્રી વી.કે.સિંહે જયમાતાજીના નાદ સાથે જણાવ્યું હતું કે, એક શરણાંગતની રક્ષા માટે જે યુધ્ધ લડયું હતું તેના શહાદતની યાદમાં આજે આપણે સૌ ઉપસ્થિત થયાં છીએ. કમઝોર, લાચારો અને માતૃભૂમિની રક્ષા માટે ઇતિહાસમાં ક્ષત્રિયો અને ક્ષત્રાણિયો હંમેશા આગળ હતા. માભોમની ખાતર ક્ષત્રિયો અને ક્ષત્રાણિયોએ બલીદાન આપેલ છે. તલાવર સાથે બે હજારથી વધારે મહિલાઓ દ્વારા મહિલા સશકિતકરણનું આજે જે ઉત્ત્।મ ઉદાહરણ મુકવાના છે તે ખરેખર આવકારવા દાયક છે જે બતાવે છે કે ક્ષત્રાણિયો પણ ક્ષત્રિયોથી ઓછી ઉતરે તેમ નથી.
ગુજરાતમાં ક્ષત્રિયોને બાપુ કહે છે એટલે જ ક્ષત્રિયાણીઓને બા કહેવામાં આવે છે તેમ જણાવતાં કેન્દ્રિય રાજયમંત્રીશ્રી સિંહે ઉમેર્યું કે, જે રીતે ભૂચરમોરી યુધ્ધનો ઇતિહાસ આજે પણ લોકો ને યાદ છે તેજ રીતે આજે આ સર્જાનાર વિક્રમ પણ એક ઇતિહાસ બનીને રહેશે. જે લોકો તેમના ઇતિહાસને અને સાંસકૃતિક વિરાસત ભૂલી જાય છે તે પ્રજા પતનના માર્ગે જાય છે. જે સમાજ તેનો ઇતિહાસ ભૂલી જાય છે તે કયારેય આગળ વધતો નથી.
આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શરણે આવેલાનું રક્ષણ કરવાના ક્ષાત્ર ધર્મ ખાતર જાન ન્યોછાવર કરનાર જામ અજાજીને વંદન કરી જણાવ્યું હતું કે, સમાજના દરેક ક્ષેત્ર, દરેક જ્ઞાતિના સર્વે લોકોનો ઉત્કૃષ્ટ વિકાસ થાય તે માટે હું પ્રભુને પ્રાર્થનાશીલ અને કર્મબધ્ધ છું. આ સાથે જ સમાજ વ્યસન મુકત બને, પરસ્પર સહકાર થકી સત્કાર્યો કરે અને બાળકોને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ અપાવે તેવી મહેચ્છા પ્રગટ કરી હતી.
સંસ્કાર અને શિક્ષણના સમન્વય થકી સમાજ દેશના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપે એ પણ આજનો ખરો ક્ષાત્રધર્મ જ કહેવાશે તેમ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ હતું.
આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રમાં યોગદાન કરનાર અગ્રણીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મંત્રીશ્રી તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ તકે વાવ ઠાકોર સાહેબ, ધારાસભ્ય સર્વે શ્રી સી.કે.રાઉલજી, કિર્તિસિંહ તેમજ અગ્રગ્રણ્ય શ્રી સરદારસિંહ જાડેજા, સી.આર.જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ રાજપુત સમાજના અન્ય આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમની સફળતા માટે રાજપૂત સમાજના આગેવાનો પી. ટી.જાડેજા, પી.એસ.જાડેજા, રાજભા જાડેજા, અનોપસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા , કિશોરસિંહ ઝાલા તથા રાજપૂત સમાજના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૯)
'પાણીપતની ભાણેજડી' નામથી ઓળખાતું 'ભુચરમોરી'(ધ્રોલના પાદરમાં) યુધ્ધ શા માટે થયુ ? જેની ટુંકી વિગત જોઇએ તો, જુનાગઢનો નવાબ સ્વતંત્ર થતા બાદશાહ અકબરના લશ્કરે તેના ઉપર ચઢાઇ કરી, જે ચઢાઇમાં જુનાગઢના નવાબે જામનગરના જામ સતાજીની મદદની માંગણી કરી, સતાજીએ મદદ કરી, તેમાં જામ સતાજીની જીત થઇ તે લશ્કર સાથે બાદશાહી ફોજની હાર થઇ તેમજ બાદશાહનો ગુનેગાર મુઝફ્ફર ત્રીજાને જામ સતાજીએ આશરો આપ્યો તે વાત અકબરને ધ્યાને પહોંચી હાલારની ધરતી પર જે પ્રદેશનું નામ જામ રાવળના વડવા જામ હાલાજીના નામ ઉપરથી પાડવામાં આવેલ તે સમયે જામ હાલાજીના તમામ વંશજો હાલા જાડેજા તરીકે ઓળખાતા હતા. તેથી જ મેરામણજી જાડેજા 'હાલા તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગ વખાણું'એ ગીત અનુસાર 'મેરામણજી હાલા' તરીકે ઓળખાયા.
જામ રાવળ સવંત ૧૯૭૫માં કચ્છમાંથી તેમના માણસો સાથે સૌરાષ્ટ્રમાં જોડીયા બંદરે ઉતરીને, ક્રમે ક્રમે જામનગર સુધી પહોંચીને, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલાર પ્રદેશમાં વસવાટ કર્યો. જામ રાજાઓમાં એક અગત્યની પ્રણાલિકા હતી, કે જામશ્રી રાવધણજી (કચ્છ)ના કાળથી ગુરૂ મોમયા માતંગને વચન આપેલ કે અમારા કુળમાં ગાદીનશીન સમયે રાજવીને પ્રથમ તિલક માતંગ કુળ (હરિજન) કન્યાના હાથે થશે, ત્યારબાદ રાજકુટુંબની બહેનો તિલક કરશે. જે પરંપરા ૧૯૪૭ સુધી અકબંધ જળવાઇ રહી જે ખુબ અગત્યની બાબત છે.