Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વાંકાનેરના પંચાસીયા ગામની સીમમાં પત્નિ સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ ૧૩ વર્ષના તરૂણને હથીયારોના ઘા ઝીંકી પતાવી દીધો

હત્યા કરનાર ભુરાસિંગ ઠાકોરની શોધખોળઃ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

વાંકાનેર, તા. ૨૪ :. વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં સમાજને હચમચાવી મુકે તેવી ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. આદિવાસી ખેત મજુરના ૧૩ વર્ષના તરૂણને પત્નિ સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ આ તરૂણની હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં ખેત મજુરી કરીને ગુજરાન ચલાવતા મૂળ મધ્ય પ્રદેશના વતની કરમશી નાનજીભાઈ કીકડીયા (ઉ.વ.૪૩, રહે. જાંબુખેડા, તા. ઉદયગઢ, જિલ્લોઃ અલીરાજપુર-મધ્યપ્રદેશ) પંચાસીયા ગામની સીમમાં ખેત મજુરી કરીને ગુજરાન ચલાવે છે તેને સંતાનમાં બે પુત્ર અને ૩ પુત્રીઓ છે. જેમાં બબલુ (ઉ.વ.૧૩) નામનો પુત્ર તા. ૨૦મીએ ગાયબ થઈ ગયો હતો. જેથી વતનમાં ગયેલા કરમસિંહને તેમના સંબંધી વૈરાંગ કબુભાઈ ભેડાનો ફોન આવ્યો હતો કે, તમારો પુત્ર બબલુ ગાયબ થઈ ગયો છે. બબલુ અને વૈરાંગ બનાવની રાત્રીએ પંચાસીયા ગામની સીમમાં રહેતા ઠાકોર ભુરાસિંહ દેહડીયાની વાડીએ જમવા ગયા હતા.

જમ્યા બાદ રાત્રીના ભૂરો, ભૂરોની પત્નિ સવિતા, વૈરાંગ અને બબલુ સહિત ચારેય ગંજીપાનાથી રમતા હતા. રાત્રીના અગીયારેક વાગ્યે બધા સુઈ ગયા હતા.

ત્યાર બાદ સવારે વૈરાંગ જાગતા તેને બબલુ કયાં છે ? તેમ પૂછતા બબલુ જતો રહ્યો છે તેમ કહ્યુ હતું પરંતુ બબલુ ઘરે પહોંચ્યો ન હતો. આ બબલુ ભુરાસિંગની પત્નિ સવિતા સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો જેથી ભુરાસિંગ ગુસ્સે ભરાયો હતો અને પત્નિ તથા બબલુને ખૂબ જ માર મારીને પત્નિ સવિતાને રૂમમાં પુરી દીધી હતી. ત્યાર બાદ બબલુ ઉપર હથીયારોને ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહ કુવામાં ફેંકી દીધો હતો.

મૃતક બબલુના પિતા કરમસિંહે ફરીયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને મૃતદેહનો કબ્જો લઈને રાજકોટ પોસ્ટમોર્ટમમાં ખસેડી હતી. આ માટે ફોરેન્સિક સાયન્સ વિભાગની પણ મદદ લેવાય હતી.

૧૩ વર્ષના તરૂણની હત્યા કરીને સવિતાનો પતિ ભુરાસિંગ નાસી છૂટયો હતો. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.(૨-૧૮)

(1:28 pm IST)