Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ઉનામાં મકાનમાં આગ બાદ ગેસનો બાટલો ફાટયો

જાનહાની નથી : ઘરવખરી બળીને ખાખ : શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યાની સંભાવના

 ઉના તા. ૨૪ : રામજી મંદિરના ડેલામાં મકાનમાં ગઇકાલે રાત્રે આગ ભભૂકતા ઘરવખરી બળીને ખાખ થઇ જતા અંદાજે દોઢ લાખનું નુકસાન થયેલ છે. આગ લાગ્યાના થોડા સમય બાદ ઘરમાં રહેલ ગેસનો બાટલો ફાટતા આગ વધુ વિકરાટ બની હતી. આગ લાગી તે સમયે સદ્ભાગ્યે ઘરમાં કોઇ હોય નહીં જાનહાનિ થઇ નથી.

રામજી મંદિરના ડેલામાં ભાડે રહેતા ધનસુખભાઇ શાહના મકાનમાં રાત્રે કોઇ કારણસર આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઇ ગયેલ હતી.

મકાનમાં રહેતા ધનસુખભાઇ રાત્રે બાજુમાં મંદિરમાં સુવા ચાલ્યા ગયેલ હોય અને મકાનમાં કોઇ હાજર ન હોય જાનહાની થઇ નથી.

આગ લાગ્યાની જાણ કરતા ફાયરબ્રિગેડના જવાનો આવીને પાણીનો મારો ચલાવીને ૨ કલાકમાં આગ બુઝાવી નાખી હતી. આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના અશોકભાઇ તથા જીતુભાઇ જાની તથા સ્ટાફ દોડી જઇને આગને કાબુમાં લીધી હતી. આગ લાગ્યાનું કારણ હજુ જાણવા મળેલ નથી પરંતુ શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસ દોડી જઇને તપાસ શરૂ કરી છે.

(11:02 am IST)