Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

કલ્‍યાણપુરમાં પરપ્રાંતિય તરુણીને અધૂરા મહિને અવતરેલા બાળકનું મૃત્‍યુ

જામ ખંભાળિયા તા. ર૪: મધ્‍યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાની મૂળ રહીશ અને હાલ કલ્‍યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય તરુણીને ગત તારીખ ૧૦ માર્ચના રોજ એક બાળકનો જન્‍મ થયો હતો. સાત મહિનાના અધૂરા પોષણ બાદ અવતરેલા આ બાળકનું વજન ઓછું હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જયાં સારવાર દરમિયાન આ બાળકે અંતિમ શ્‍વાસ લીધા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગે કલ્‍યાણપુરના તપાસનીસ અધિકારી પી.એસ.આઇ. વી. આર. શુકલ દ્વારા જે-તે સમયે મધ્‍યપ્રદેશ પોલીસને જાણ કરવામાં આવી હતી. શ્રમિક પરિવારની આ તરુણી થોડા સમય પૂગર્વે જ અત્રે આવી હતી. મૃતક બાળકનું ડીએનએ સેમ્‍પલ પણ લેવામાં આવ્‍યું છે. આ પ્રકરણ અંગે કલ્‍યાણપુર પોલીસે મૃતક બાળકના માતાની જાણ પરથી કલ્‍યાણપુર પોલીસ મથકમાં જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

(1:44 pm IST)