Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

૨૦૧૬-૧૭માં ઘરઆંગણે કઠોળનું ઉત્પાદન ૫૦ ટકાના વધારા સાથે ૮.૧૮ લાખ ટન થયું

કૃષિ રાજ્ય મંત્રીનો રાજ્યસભામાં સાંસદ પરિમલભાઇ નથવાણીએ આપેલ વિગતો

જામનગર તા. ૨૪ : ભારતમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૬-૧૭માં ૨.૩૧ કરોડ ટન રહ્યું હતું , જે વર્ષ ૨૦૧૫-૧૬ના ૧.૬૩ કરોડ ટનના ઉત્પાદનની સરખામણીએ ૪૧ ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૧૪-૧૫માં કઠોળનું ઉત્પાદન ભારતમાં ૧.૭૨ કરોડ ટન અને ગુજરાતમાં ૫.૭૪ લાખ ટન રહ્યું હતું. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન ૫૦ ટકા જેટલું વધ્યું હતું. વર્ષ ૨૦૧૫-૧૬માં રાજયમાં કઠોળનું ઉત્પાદન ૫.૪૩ લાખ ટન હતું, જે વર્ષ ૨૦૧૬-૧૭માં ૮.૧૮ લાખ ટન સુધી પહોંચ્યું હતું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે માર્ચ ૨૩,૨૦૧૮ના રોજ રાજયસભામાં સાંસદ પરિમલભાઇ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.

 

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ચોમાસામાં વરસાદની અછત/ખેંચ, માવઠા/કરા અને વિપરીત તાપમાનની પરિસ્થિતિ વગેરેને કારણે દેશમાં કઠોળનું ઉત્પાદન વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૭૨ કરોડ ટન અને વર્ષ ૨૦૧૫-૧૬માં ૧.૬૩ કરોડ ટન રહ્યું હતું, જે અગાઉના વર્ષ ૨૦૧૩-૧૪ના વિક્રમજનક ઉત્પાદન ૧.૯૩ કરોડ ટન કરતાં ઓછું હતું. જો કે, વર્ષ ૨૦૧૬ના સામાન્ય ચોમાસા અને સરકારે લીધેલાં વિવિધ પગલાંને કારણે વર્ષ ૨૦૧૬-૧૭માં કઠોળનું ઉત્પાદન વધીને ૨.૩૧ કરોડ ટન થયું હતું, એમ મંત્રીશ્રીના નિવેદનમાં જણાવાયું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં કઠોળનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે નેશનલ ફૂડ સિકયોરીટી મિશન (એન.એફ.એસ.એમ.)-પલ્સીસ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (એન.એસ.એસ.એ.), પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના (પી.એમ.એસ.કે.વાય.), સોઇલ હેલ્થ કાર્ડ સહિતના પાક વિકાસ યોજનાઓ/કાર્યક્રમોનો અમલ કર્યો છે.

શ્રી નથવાણી દુષ્કાળને કારણે કઠોળના ઉત્પાદન પર થયેલી અસર, સરકાર દ્વારા કઠોળનું ઉત્પાદન વધારવા લેવાયેલાં પગલાં અને કઠોળનું ઉત્પાદન વધારવા માટે વર્ષ ૨૦૧૮-૧૯માં ફાળવવામાં આવેલી રકમ અંગે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રવી/ઉનાળુ પાક દરમિયાન કઠોળના વાવેતરનો વિસ્તાર વધારવાનો કાર્યક્રમ એન.એફ.એસ.એમ.-પલ્સીસ હેઠળ અમલમાં મૂકવામાં આવેલો છે. આ કાર્યક્રમ હેઠળ ટેકનોલોજીમાં સુધારો, પ્રમાણિત બિયારણનાં વિતરણ, અસરકારક સિંચાઈ માટેના સાધનોનો ઉપયોગ, ઇન્ટીગ્રેટેડ ન્યૂટ્રીઅન્ટ મેનેજમેન્ટ (આઇ.એન.એસ.) અને ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (આઇ.પી.એમ.) વગેરેનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમયાંતરે કઠોળના ટેકાના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને કઠોળના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપી શકાય. વર્ષ ૨૦૧૮-૧૯ માટે નેશનલ ફૂડ સિકયોરીટી મિશન માટે રૂ. ૧૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં એન.એફ.એસ.એસ.-પલ્સીસના હિસ્સાનો પણ સમાવેશ થાય છે, એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.(૨૧.૧૨)

(12:56 pm IST)