રાજકોટ, તા. ૨૩ : અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામમાં કાલે જી. પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૨૫૩ નવદંપતિ લગ્નગ્રંથીથી જોડાશે.
કાલે ચમારડી ગામ ખાતે સાંજે ૪:૩૦ વાગ્યે ગામે - ગામથી સમૂહલગ્નમાં જોડાયેલ પરીવારોની જાન આવશે અને સાંજે ૫:૩૦ વાગ્યે સ્ટેજ કાર્યક્રમ યોજાશે. હસ્તમેળાપ સાંજે ૬ વાગ્યે અને સાંજે ૬:૩૦ વાગ્યે ભોજન સમારંભ અને કન્યા વિદાય રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે કરાશે.
આ અંગે જી. પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ વસ્તરપરાએ ''અકિલા''ને જણાવ્યુ હતું કે કાલે સમૂહલગ્નમાં જોડાનાર નવદંપતિને વૃક્ષના રોપા અપાશે અને હજુ ૧ હજાર સમૂહલગ્નનો સંકલ્પ આગામી સમયમાં પૂર્ણ કરાશે.
આ તકે પૂ. મોરારીબાપુ નવદંપતિને આર્શીવાદ આપશે. તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મંત્રી પરસોતમભાઈ રૂપાલા, રાજય કૃષિમંત્રી આર. સી. ફળદુ, આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી, સુરતના ધારાસભ્યો વી. ડી. ઝાલાવડીયા, કાંતિભાઈ બલર સહિતના ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત પૂ.નિર્મળાબા, પૂ.શેરનાથબાપુ, આઈ શ્રી વાલબાઈમાં, પૂ.વિજયબાપુ, એસ.પી. સ્વામી, પૂ.વલકુબાપુ, પૂ.મુળદાસબાપુ, પૂ.જેરામબાપુ, પૂ.લવજીબાપુ, પૂ.ભકિતરામબાપુ, પૂ.ઘનશ્યામદાસબાપુ, પૂ.આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી, પૂ.રામબાપુ, પૂ. નિત્યસ્વરૂપસ્વામી, પૂ.ચંદ્રપ્રસાદ સ્વામી સહિતના આર્શીવાદ પાઠવશે.
જી. પી. વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત છઠ્ઠા સમૂહલગ્નમાં બેટી બચાવો, વૃક્ષારોપણ, ગૌ સેવા સહિત અનેક સંકલ્પો લેવાશે તેમ ગોપાલભાઈ વસ્તરપરા (મો.૯૮૨૫૧ ૩૨૨૨૨)એ જણાવ્યુ છે.
સમૂહલગ્નમાં ૨ લાખ લોકો ઉમટવાની શકયતા
બાબરા, તા. ૨૪ : જી પી વસ્તરપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન ઉત્સવ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે આજે બપોર બાદ બાબરા તાલુકાનુ ચમારડી ગામ વિખ્યાત બનશે સમુહ લગ્નનુ લક્ષ્ક ચેનલ ના માધ્યમથી ભારત અનેક રાજય મા લાઇવ પ્રસારણ બતાવવામાં આવે છે. આ સમુહ લગ્ન મા દોઢથી બે લાખ માણસો એકઠા થવાની સંભાવના છે બે હજાર થી વધુ સ્વયંસેવકો જોડાયા તેમજ ૫૦૦ પોલીસ જવાનો સતત ખડેપગે હાજર રહેશે બપોર ના ચાર વાગે થી જાનનુ આગમન ચમારડી મુકામે થશે સાંજે ૫:૩૦ કલાકે રાજકીય આગેવાર્નોં સાધુસંતો આમંત્રિત મહેમાનોનુ સન્માન કરવામાં આવે છે.
રાજય મુખ્ય મંત્રી ઉપ મુખ્ય મંત્રી નુ સન્માન સમુહ લગ્ન ના મુખ્ય આયોજક ભામાશા ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલક કલમના કસબી શ્રી જય વસાવડા દ્વારા કરવામાં છે. આ સમુહ લગ્ન ઉત્સવમા પધારવા માટે બાબરા લાઠી દામનગરની જનતાને ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે.