Gujarati News

Gujarati News

News of Thursday, 23rd December 2021

પડધરીમાં ચંદ્રિકાબેન ચારોલાએ અગ્નિસ્નાન કરતાં ગંભીરઃ ‘મારે હવે જીવવું નથી’નું રટણ

વહેલી સવારે પાંચ વાગ્યે બનાવઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૩: પડધરીમાં સતેશ્વર મહાદેવ પાસે રહેતાં ચંદ્રિકાબેન કમલેશભાઇ ચારોલા (ઉં.વ.૩૮) નામના મહિલાએ સવારે પાંચેક વાગ્યે ઘરના બધા સભ્યો ઉંંઘી રહ્યા હતાં ત્યારે ફળીયામાં જઇ શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પડધરી પોલીસને  જાણ કરી હતી. ચંદ્રિકાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિને પડધરી હાઇવે પર ચાની કેબીન છે. ચંદ્રિકાબેને હોસ્પિટલના બિછાને એવું રટણ કર્યુ હતું કે-મારા પગલા પાછળ કોઇનો વાંક નથી, બધા સુતા હતાં ત્યારે હું સળગી હતી. મારી મરજીથી આવું કર્યુ છે, મારે હવે જીવવું નથી. આપઘાતના પ્રયાસનું કારણ જાણવા પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચંદ્રિકાબેનના માવતર રાજકોટ મોરબી રોડ પર રહે છે. તેમણે દિકરીને કોઇ દુઃખ ત્રાસ હોવા અંગે ઇન્કાર કર્યો હતો.

 

(11:11 am IST)