Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કેન્દ્રની યોજના હેઠળ હવે ઇયરટેગ બનશે પશુઓના આધારકાર્ડ

પશુઓમાં થતાં ખરવા મોવાસા તથા બ્રુસેલ્લોસીસ જેવાં ઘાતક રોગો સામે પશુપાલન વિભાગ દ્વારા વ્યાપક અભિયાન શરૂ

(વિપુલ હિરાણી)ભાવનગર તા.૨૨: પશુઓમાં આવતો ખરવા મોવાસા(FMD) અને બ્રુસેલ્લોસીસ રોગ નિયંત્રણ કરી સમગ્ર દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ખરવા મોવાસા રોગ નાબૂદ થાય તેમજ પશુપેદાશોને આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળુ માર્કેટ મળી રહે અને પશુ માલિકોની આવક બમણી થાય તે હેતુથી

ભારત સરકાર દ્વારા NADCP(National Animal Disease Control Programme) અને NAIP(National Artificial Insemination Project) જેવા બે કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યા છે. NADCP કાર્યક્રમનો મુખ્ય હેતુ આ માટે પશુઓની ઓળખ થાય અને તેનો રેકોર્ડ જળવાઇ રહે તે માટે INAPH સોફ્ટવેરમાં પશુઓની ઉંમર,વેતર,વેકશીનેશન, પશુ માલિકની વિગત ગામ જેવી તમામ માહિતી રાખવામાં આવે છે. આ માટે પશુઓને ઇયર ટેગ ધ્વારા બાર કોડેડ યુનિક આઇડેન્ટીફિકેશન ( UID) આપવામાં આવે છે અને આ ટેગ સરકારશ્રીની તમામ સહાયકારી યોજનાઓ પશુઓની બેન્કની લોન માટે તેમજ પશુઓને કોઇપણ પ્રકારના ડીઝાસ્ટર અંતર્ગત પશુઓને થયેલ નુકશાન, મૃત્યુ સહાય વળતરમાં મદદરૂપ પુરવાર થશે તથા આ ટેગ થકી પશુઓમાં કયારે રસીકરણ, કૃત્રિમ બિજદાન થયેલ છે તેમજ આ અંગેની આનુસાંગીક માહિતી પણ આસાનીથી ઉપલબ્ધ થશે.

હાલમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગોકુલ મીશન હેઠળ જે જિલ્લાઓમાં ૫૦% કરતા ઓછુ કૃત્રિમ બિજદાન થતુ હોય તેવા જિલ્લાઓને આવરી લેવામાં આવેલ છે જે મુજબ સમગ્ર દેશના ૬૦૦ જિલ્લાઓ પૈકીનગુજરાત રાજયના ૨૧ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી સારી ઓલાદના પશુઓ મેળવવા માટે NAIP Phase 2 કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓને ટેગીંગ હેઠળ આવરી લેવામાં આવનાર છે. પ્રથમ ફેઝમાં ભાવનગર જિલ્લામાં ૨૦૦૦૦ પશુઓને આ યોજના હેઠળ આવરી લીધેલ છે.

તમામ પશુઓ રોગમુકત થાય તે હેતુથી આગામી ફેબ્રુઆરી – ૨૦૨૧ માં ખરવા મોવાસા રોગ નિયંત્રણ ફેઝ – ૨ પહેલા ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓને ઇયર ટેગીંગ હેઠળ આવરી લેવાના હોય તમામ પશુપાલકોને પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પશુપાલન સ્ટાફ આપને ત્યાં પશુઓને ટેગીંગ માટે આવે ત્યારે પુરતો સહકાર આપે જેમાં આપનુ તેમજ આપના પશુઓનુ હિત સમાયેલ છે. ખરવા મોવાસા રોગની અસર આવે ત્યારે પશુઓની કાર્યક્ષમતા ઘટી જાય છે તેમજ દુધ આપનાર પશુઓનુ દુધ ઉત્પાદન પણ કાયમી ધોરણે ઘટી જતુ હોય છે જેથી પશુમાલિકોને આર્થીક રીતે બેવડો ફટકો પડતો હોય છે જેથી કહેવાય છે ને કે સુરક્ષા એ જ સમજદારી એ મુજબ આગામી ફેબ્રુઆરી – ૨૦૨૧ માં ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમમાં પશુપાલકો પોતાના તમામ પશુઓનુ ચોક્ક્સ નિઃશુલ્ક રસીકરણ કરાવે અને પોતાનુ મહામુલુ પશુધન બચાવે તથા પોતાના તેમજ દેશની પ્રગતિમાં અમુલ્ય સહકાર આપે.

(11:32 am IST)