Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ખંભાળિયામાં પરિણીતાનો આપઘાત

પતિ-દિયરે માનસિક ત્રાસ આપી પુત્રીને મજબુર કર્યાની પિતાએ ફરીયાદ નોંધાવીઃ ત્રણ વર્ષનો પુત્ર માં વિહોણો

ખંભાળિયા, તા. ૨૨ :. ધરમપુર વિસ્તારમાં વિનાયક હોટલ પાસે રહેતા હેતલબા જયેન્દ્રસિંહ ઉર્ફે જયરાજસિંહ ભીખુભા ગોહેલ (ઉ.વ. ૨૪) નામની ગરાસીયા પરિણીતાએ પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેટુંપો ખાઈ આપઘાત કરી લેતા મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી.

બનાવ અંગે પડાણા ગામે રહેતા પરિણીતાના પિતા પ્રવિણસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ. ૫૮)ના એ ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમા જણાવ્યુ છે કે પુત્રી હેતલબાના લગ્ન વર્ષ ૨૦૧૫મા મુળ જામકંડોરણા તાલુકાના આછવડ ગામે અને હાલ ખંભાળિયા ધરમપુર વિસ્તારમાં વિનાયક હોટલ પાસે રહેતા અને ડ્રાઈવીંગ કરતા જયેન્દ્રસિંહ ઉર્ફે જયરાજસિંહ ભીખુભા ગોહીલ સાથે કર્યા હતા. જેમાં સંતાનમાં દિવ્યરાજસિંહ (ઉ.વ. ૩)નો પુત્ર છે. પુત્રી તેમના પતિ, પુત્ર અને દિયર હરપાલસિંહ અને તેમના સાસુ રતનબા સાથે રહે છે. તેમના સાસુ અસ્થિર મગજના છે. લગ્નના થોડા સમય થયા ત્યાં જમાઈ જયેન્દ્રસિંહ તથા દિયર હરપાલસિંહ ઘરકામ બાબતે ટોકટોક કરી તને ઘરકામ સરખુ આવડતુ નથી, તું આવી છો, તું તેવી છો, કહી મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે પુત્રીએ અવારનવાર અમને ફોન કરીને અહીંથી તેડી જવા જણાવ્યુ હતું પરંતુ અમે સારૂ થઈ જશે તેવું આશ્વાસન આપતા હતા. ત્રણેક વર્ષ પહેલા દિકરીએ જણાવેલ કે તમારા જમાઈને ટ્રેકટર લેવું છે, પૈસા નથી તમે થોડી મદદ કરો, આથી અમે રાજીખુશીથી જમાઈને ટ્રેકટર લેવા માટે પોણા બે લાખ રૂપિયા આપ્યા હતા. જે ટ્રેકટર ઈ જમાઈ રેતીની હેરાફેરી કરી ગુજરાન ચલાવતો હતો. વધુમાં જણાવ્યુ હતુ કે પુત્રીએ પગલુ ભરી લીધાની જાણ ઘરે થતા અમે ખંભાળિયા ખાતે દિકરી હેતલબાના ઘરે પહોંચતા ત્યાં પુત્રીનો મૃતદેહ પલંગ ઉપર હતો અને પંખામાં સાડી ટીંગાયેલી હતી. આથી દિકરીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યુ હતું. મારી પુત્રીને જમાઈ જયેન્દ્રસિંહ ઉર્ફે જયરાજસિંહ ભીખુભા ગોહીલ તેનો ભાઈ હરપાલસિંહ ભીખુભા ગોહીલે માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાથી પગલુ ભરી લીધુ હોવાનું વધુમાં જણાવતા પોલીસે જમાઈ તથા તેમના ભાઈ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૬, ૪૯૮(એ), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ એમ.એન. પંડયા ચલાવી રહ્યા છે.

(2:54 pm IST)