Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

લુણીવાવ ગામે ફાધર્સ ડેના દિવસે જ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગૂમાવી

ગોંડલ શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જવાબદારી સંભાળી ઉમદા કાર્ય કર્યું

ગોંડલ,તા.૨૨:કુદરતની કરૂણતા એટલી હદે કયારેક હોય કે કાળા માથાનો માનવી ન સમજી શકે લુણીવાવ ગામે મૂળ કુતિયાણાના કોળી સમાજના ભુપતભાઈ ચાવડા ઉ. વર્ષ- ૩૬ છૂટક મજૂરી કરી પેટિયું રડતા હતા. અચાનક બે દિવસની ટૂંકી બીમારી બાદ 'ફાધર્સ ડે' ના દિવસે જ તેમનું મોત નિપજતા તેના ત્રણ સંતાનો રોનક ઉ.વર્ષ-૧૦, રિદ્ઘિ ઉ. વર્ષ-૮ અને રોહિત ઉ. વર્ષ-૬ એ પિતા ની છત્રછાયા ગુમાવી હતી સાથે પત્ની સોનલબેન અને તેમનાં દિવ્યાંગ બહેન હતપ્રભ થઈ જવા પામ્યા હતા. દ્યટનાની જાણ ગોંડલ શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ આ પરિવારથી પરિચિત હોય તુરંત લુણીવાવ દોડી ગયા હતા. ત્વરિત ત્રણેય સંતાનોની સંપૂર્ણ ભણવા - ગણવાની તથા તમામ ખર્ચની જવાબદારી ઉપાડી નોંધારાઓનો આધાર બની સમાજને પ્રેરણા રૂપી કાર્ય કરી સાચા અર્થમાં 'ફાધર્સ ડે' ની ઉજવણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ભુપતભાઇ ચાવડા એ છેલ્લા સાત વર્ષથી લુણીવાવને કર્મભૂમિ બનાવી હતી રાજેન્દ્રસિંહ જાડેજા એ તેઓની વાડી ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી અને આજની ઘટના બાદ રાજેન્દ્રસિંહે વાડી ના મકાનના દરવાજા ખોલી આપી છત્રછાયા આપી છે.

(11:38 am IST)