ગોંડલ તા.૨૨: કાલે તા.૨૩ને શુક્રવારે ગોંડલમાં પૂ.હરિચરણદાસજી મહારાજનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં હોસ્પિટલના સુવિધાનુ લોકાર્પણ કરાશે.
ગોંડલમાં શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, કાશી વિશ્વનાથ રોડ ખાતે શ્રી રામનવમી ઉત્સવ પૂ. હરિચરણદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને ધામધુમથી ઉજવાશે.
શ્રી રામનવમી ઉત્સવ અંતર્ગત કાલે તા. ૧૭ ને શનિવારથી તા. ૩૧ ને શનિવાર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂ. સદ્ગુરૂ દેવશ્રી સ્વામી હરિચરણદાસજી મહારાજ, સંરક્ષક મહામંડલેશ્વર ડો. સ્વામી શ્રી રામેશ્વરદાસજી મહારાજ 'શ્રી વૈષ્ણવ' હનુમંત પીઠાધીશ, રૂષિકેશ સંચાલક પૂજય મહંતશ્રી મહારાજ શ્રી રામજી મંદિર, ગોંડલ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ તથા શ્રી સદ્ગુરૂ શિષ્ય પરિવાર દ્વારા યોજાશે.
પૂ. ગુરૂદેવ સ્વામીશ્રી હરિચણદાસજી મહારાજના ૯૬મા પ્રાગટય દિવસે બ્રહ્મ ચોર્યાસી યોજાશે. જેમાં રાજયના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સવારે ૧૦:૩૦ વાગ્યે હાજર રહીને સદ્ગુરૂદેવના જન્મ દિવસે શુભેચ્છા આપીને આર્શિવચન પ્રાપ્ત કરશે.
આ તકે ગોંડલ શહેર અને તાલુકાના આશરે ૧૧ હજાર બ્રાહ્મણો ભોજન પ્રસાદ લેશે. શ્રી વિજયભાઇ રૂપાણીને બ્રાહ્મણો મંત્રોચ્ચારથી આર્શિવચન પાઠવશે.
આ તકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આંખ વિભાગના નવનિર્માણનું ભૂમિપૂજન, આંખ વિભાગ (યાગ લેસર) અને સોનોગ્રાફીના મશીનનું લોકાર્પણ, નવા સ્ટાફ કવાર્ટસનું ભૂમિપૂજન, પૂજય 'માં સ્વામી સાથેના મારા આત્માનુભાવો' પુસ્તીકાનું વિમોચન (અજયભાઇ શેઠ) કરાશે. અને પૂ. સદ્ગુરૂ દેવની પ્રેરણાથી શાળા ભવનના નવ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.
આ તકે શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરૂ શ્રી રામાધારાચાર્યજી મહારાજ ઘનશ્યામ ભુવન, હરિદ્વાર ભૂપતવાલા, પૂ. રઘુરામબાપા ગાદીપતિ વિરપુર પૂ. જલારામ મંદિર, પૂ. રાધવાચાર્યજી મહારાજ રેવાસા પીઠાધીશ, પૂ. ઘનશ્યામજી મહારાજ, શ્રી ભુવનેશ્વરી પીઠ ઉપસ્થિત રહેશે.
આ તકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ મનીષાબેન બટુકભાઇ સાવલીયા, અજયભાઇ શેઠ (કવેસ્ટ ફાઉન્ડેશન-મુંબઇ), ચેતનભાઇ વિનોદરાય ચગ, (સોમીકા-આફ્રિકા), અશ્વિનભાઇ (ધરમશીભાઇ નેણસી ટોપ રાણી) મસ્કત, જેન્તીભાઇ ઢોલ, રમેશભાઇ ઘડુક, યતિષભાઇ દેસાઇ સહિતના ઉપસ્થિત રહેશે.
તા. ર૪ ને શનિવારે પૂ. શ્યામસુંદરજી મહારાજના વ્યાસાને આયોજીત પાઠ પ્રસંગે શ્રીરામ રાજયાભિષેક, તા. રપ ને રવિવારે શ્રીરામ જન્મ ઉત્સવ, બપોરે ૧ર વાગ્યે ઉજવાશે.
તા. રપ ને રવિવારે શ્રીરામ યજ્ઞના યજમાન મનસુખભાઇ હરિભાઇ પારેખના હસ્તે સાંજે બીડુ હોમાશે. તા. ર૯ ને ગુરૂવારે પૂ. રણછોડદાસજી મહારાજની પુણ્યતિથિ એ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને તા. ૩૧ને શનિવારે શ્રી હનુમાન જયંતિ ઉજવાશે.
ઉપરોકત ધાર્મિક પ્રસંગે દરરોજ કથા, સત્સંગ, સંકિર્તન, ભંડારા તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે ૬ થી ૭ પૂ. ગુરૂદેવ સ્વામી શ્રી હરિચરણદાસજી મહારાજ દિવ્ય પ્રવચન આપશે.
તા. ર૬ અને ર૭ જુલાઇમાં હરિધામ આશ્રમ ગોરા મુકામે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે.