Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડ દિનેશભાઇ જીવાણીનો ઝેર પી આપઘાત

બેલા પાસે વિજશોક લાગતા કનુભાઇ કારૂનું મોત : ભડીયાદ કાંટા પાસે ટ્રેન અકસ્માતમાં ઘવાયેલ મનોજ મોહલીયાનું મોત

મોરબી તા. ૨૨ : મોરબીના શનાળા રોડ નજીક આવેલ સોસાયટીમાં રહેતા આધેડે આર્થિક સંકળામણના કારણે પોતના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.

મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ નજીક આવેલ વૈભવનગર તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઈ કુવરજીભાઈ જીવાણી (ઉ.૪૫)એ આર્થિક સંકળામણના કારણે પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજયું હતું.આધેડના મૃત્યુને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં માળિયા તાલુકાના જાજાસર ગામે રહતા કનુભાઈ કાનજીભાઈ કારૂ (ઉ.૨૩) બેલાગામ પાસે ઇટાલી કારખાનાની આજુબાજુમાં કામકરતા ઇલેકિટ્રક શોટ લાગતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

ત્રીજા બનાવમાં મોરબીના ભડિયાદ કાંટા નજીક રહેતો મનોજ સતીશભાઈ મોહલિયા (ઉ.૨૨) ગત તા.૬ ના રોજ ભડિયાદ કાંટા પાસે રેલ્વે પાટો ક્રોસ કરતો હતો ત્યારે ટ્રેન સાથે અકસ્માત થતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ-અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો.જયાં ગત તા.૨૧ના રોજ તેનું મૃત્યુ નીપજયું હતું.યુવાનના મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

(11:33 am IST)