Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાણવડ પાલિકામાં આંતરીક વિખવાદ? કારોબારી ચેરમેનનું રાજીનામુ રાજકીય સ્ટંટ?

ભાણવડ તા.૧૪: પાલિકા સતાધિશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગજગ્રાહે આખરે હવે જવાળામુખી સ્વરૂપ ધારણ કરી લીધુ છે. પ્રમુખ અને તેમના પતિ સામે અતિ ગંભીર આક્ષેપો કરી હોદા પરથી રાજીનામું આપી કારોબારી ચેરમેને ભાણવડના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. જો કે, સુત્રોના જણાવ્યા મુજબ હાલ પાલિકા સતાધિશો મોવડી મંડળ સમક્ષ પોતાની શું સ્થિતિ છે તે જાણવા જ આવા સ્ટંટ કરી રહ્યા હોવાથી વિશેષ કઇ નથી.

પાલિકા કારોબારી ચેરમેન નિમેષ પી.ઘેલાણીએ શહેર પ્રમુખને ટાંકીને ધરેલા રાજીનામામાં પ્રમુખ અને તેના પતિ સામે એકાએક અતિ ગંભીર અને પક્ષવિરોધી પ્રવૃતિ સહિતના આક્ષેપો કર્યા છે. હમણા સુધી પ્રમુખ અને કારોબારી ચેરમેન વચ્ચે ભારે તાદાત્મ્ય હતુ અને બન્ને મળીને મોવડી મંડળની ઉપર વટ થઇ ગમે તે નિર્ણયો બેધડક રીતે કરી રહ્યા હતા. ત્યારે એકાએક એવુ શું વાકું પડી ગયું કે, ગંભીર આક્ષેપો કરી પદ છોડી દેવાનો નિર્ણય કર્યોએ સવાલ ઉઠયો છે. રાજીનામામાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ કારોબારી ચેરમેનના હોદાની ગરીમા પ્રમુખ અને તેમના પતિ દ્વારા જાળવવામાં નથી આવતી, વોર્ડના કામો અંગે વિપક્ષી સદસ્યો પ્રત્યે વધુ લાગણી અને આત્મિયતા, કારોબારી બેઠકમાં પ્રમુખ દ્વારા સરમુખત્યારશાહી અને અહંકારીભર્યુ વલણ હોવાનુ રાજીનામાપત્રમા જણાવ્યુ છે.

અનેક કથાકથિત અફવાઓ વચ્ચે હાલ ભાણવડના સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી છે તો એક પ્રબુધ્ધ વર્ગ એવું પણ કહી રહ્યો છે કે, યોગ્ય હોદા માટે અયોગ્ય વ્યકિતની પસંદગી સદાય વિનાશકારી જ હોય છે જે આજે ભાણવડ સતાપક્ષની થીંક ટેંક માટે અક્ષરસઃ સાચી ઠરી રહી છે. પાલિકાની છેલ્લી બે બોડીના મળીને પાંચ વર્ષ ભારે કૌભાંડ અને કરપ્શનના રહ્યા છે જેમાં વેઠવાનુ શહેરની પ્રજાને જ આવ્યું છે રોડના કામમાં ભ્રષ્ટાચાર,ભુગર્ભ ગટરના કામમાં લોલંલોલ, સિંચાઇ યોજનામાં નિષ્ફળતા, શૌચાલયોનું મહા કૌભાંડ સહિતની અનેક કદી ન જોવા મળેલી બદીઓ આ છેલ્લી બે બોડીની પાંચ વર્ષની કામગીરીએ દેખાડી દીધી. ત્યારે જોવાનું રહ્યું કે, લોકસભાની ચુંટણીઓના પરચમ લહેરાઇ ચુકયા છે ત્યારે મોવડી મંડળ આ બનાવે કેવું વલણ અપનાવે છે શકય છે કે, આ આખા મામલાને ઠારી દેવામાં આવશે અને કુલડીમાં ગોળ ધોળી લેવામાં આવશે પરંતુ શહેરીજનોનીએ આશંકા હવે દુર થઇ ગઇ છે કે, આ સતાધિશો માત્ર નિજ હિત સિવાય બીજુ કઇ વિચારતા નથી અને લોકહિતના નામે જે પણ સ્ટંટ કરે છે તેની પાછળ માત્રને માત્ર અંગત સ્વાર્થ જ છુપાયેલો હોય છે. રાજીનામામાં કારોબારી ચેરમેને પોતાની અને પ્રમુખની જ્ઞાતિને લઇને કરેલા એકથી વધુ વારના ઉચ્ચારણમાં પણ અનેક સમીકરણો સામે આવી રહ્યા છે.(૨.૪)

 

 

(11:26 am IST)