Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વેરાવળમાં કસ્તુરબા મહિલા મંડળ માર્ગનું ડો. આર.જી. તન્ના નામકરણ

રાજકોટ તા.૧૬: વેરાવળના કસ્તુરબા મહિલા મંડળ માર્ગને શહેરમાં સાત દાયકા સુધી આરોગ્ય અને શિક્ષણક્ષેત્રમાં સેવા થકી સુવાસ પ્રસરાવનાર ૯૭ વર્ષીય ડો.આર.જી.તન્નાનું નામકરણ કરી તેની તકતીનું અનાવરણ આજે એક કાર્યક્રમમાં કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી.

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા કસ્તુરબા મહિલા મંડળ રોડનું ડો.આર.જી.તન્ના માર્ગ તરીકે નામકરણ કરવા  ઠરાવ પસાર કર્યા બાદ આજે આ માર્ગની નામકરણની તકતીનું કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ પાલિકા ઉપપ્રમુખ જયદેવભાઇ જાની, ઝવેરીભાઇ ઠકરાર, ડો. ફીચડીયા, શૈલેષભાઇ તન્ના, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભૈસલા, ચીમનભાઇ અઢીયાના હસ્તે અનાવરણ કરાયુ હતું. આ તકે તમામ શ્રેષ્ઠીઓએ જણાવ્યું હતું કે, ડો. આર.જી. તન્નાએ શહેરીજનોને આરોગ્ય અંગે સાત દાયકા સુધી કરેલી સેવા કયારેય ભુલી ન શકાય, સાથે આવનાર પેઢી તેમના સેવાકાર્યોથી અવગત થાય તે હેતુથી માર્ગનું નામકરણ કરવામાં આવ્યુ છે. વર્તમાન સમયમાં આરોગ્યની સેવા મેળવવી ખર્ચાળ છે ત્યારે ડો. તન્નાએ સામાન્ય લોકોને પરવડે તેવી મામુલી કિંમતની દવાઓ પ્રિસ્ક્રીપ્શનમાં લખી સેવા કરી હોવાના લીધે શહેરના કોઇપણ મેડીકલ સ્ટોરમાં સામાન્ય તાવ-શરદીની દવાનો ડો. તન્નાનો ડોસ માત્ર રૂ. ૧૦ માં મળે છે. ડો. તન્નાએ આરોગ્ય સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિક્ષણ મળી રહે તે માટે એજયુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી. જેમાં અભ્યાસ કરી કેટલાય વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ હોદા પર પહોચ્યા છે. આ સોસાયટીની સ્થાપનાની સાથે સતત સક્રિય રહી વૃક્ષની જેમ ઉછેર કરેલ હોવાથી આજે એજયુકેશન સોસાયટીમાં બાળ મંદિરથી લઇ સાયન્સ, આઇટી, એમબીએ સહિતના ઉચ્ચ અભ્યાસક્રમોનું શિક્ષણ અપાય રહ્યું છે. આમ, ડો. તન્નાની સેવાની સુવાસથી શહેરના દરેક વર્ગના લોકો સુધી પહોચી છે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ કેન્ની થોમસે ડો.આર.જી.તન્ના સ્કોલરશીપ યોજનાની શરૂઆત કરી શહેરમાં જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે પૈસાના અભાવે ઉચ્ચ અભ્યાસ મેળવવાથી વંચિત રહે છે. તેઓને આ સ્કોલરશીપ આપવાનું આયોજન કયું હોવાની જાહેરાત કરી હતી.

હાલ ૯૭ વર્ષીય ડો.તન્ના અમેરિકા હોય ત્યાંથી વિડીયો સંદેશા મારફતે શહેરીજનો અને શ્રેષ્ઠીઓ સાથેનું સંભારણું યાદ કરી નામકરણ કરવા બદલ પાલિકા અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા તેઓની ઉત્તમ પ્રકારની સેવાઓને જીવંત રાખવા અને તેમનુ નામ આવતી પેઢી દર પેઢીમાં પણ હંમેશા ગુંજતુ રહે તેવા શુભહેતુથી હાલના કસ્તુરબા મહિલા મંડળવાળા રોડનું નામકરણ 'ડો.આર.જી. તન્ના' રાખવાના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

વેરાવળ-પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીનકુમાર વી. મહેતા, પ્રમુખ જગદીશભાઈ વી. ફોફંડી, ઉપપ્રમુખ જયદેવભાઈ ડી. જાની તથા પાલિકાના સદસ્યો, કર્મચારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં માર્ગનું નામકરણ કરાયુ હતું. (૧.૬)

(11:56 am IST)