Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મારી યાત્રાના પ્રથમ દિવસે મા ખોડલના દર્શન અને ધ્વજારોહણનો લ્હાવો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત : મનસુખભાઇ માંડવિયા

ખોડલધામમાં મનસુખભાઇના હસ્તે ધ્વજારોહણ : રજત તુલા : ચાંદી ખોડલધામના વિકાસમાંં અર્પણ

રાજકોટઃ ભારત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ મનસુખભાઈ માંડવિયા પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. ત્યારે તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે કાગવડ ગામ પાસે આવેલા સુપ્રસિદ્ઘ શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લઈને મા ખોડલના આશીર્વાદ લીધા હતા.

ગઇકાલે ગુરૂવારના બપોરે તેઓ મંદિરે આવી પહોંચતા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનસુખભાઈ માંડવિયાનું ખેસ પહેરાવી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવેલ.

ધ્વજારોહણ બાદ મનસુખભાઈ માંડવિયાનું સન્માન અને રજતતુલા માટે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્વાગત-સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્ય બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ (ભાઈઓ-બહેનો), વિવિધ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, અટકથી ચાલતા પરિવારના સંગઠનો, વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતની સંસ્થાઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

બાદમાં શ્રી ખોડલધામ સમિતિ- રાજકોટ, અમદાવાદ અને ભાવનગર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની રજતતુલા કરવામાં આવી હતી. તેમના વજન બરાબરની ચાંદીથી તુલા કરીને મનસુખભાઈ માંડવિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પરિવારનો હ્ય્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

સન્માન અને રજતતુલા બાદ પોતાના સંબોધનમાં મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે, મારી યાત્રાના પ્રથમ દિવસે મા ખોડલના દર્શન અને ધ્વજારોહણનો લ્હાવો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સૌએ રજતતુલા દ્વારા મારૂ અભિવાદન કર્યું એ બદલ આભાર. આ રજતતુલાને લાયક બનવાની મા ખોડલ મને શકિત આપે તેવી પ્રાર્થના. તમામ ચાંદી હું ખોડલધામના વિકાસની પ્રવૃત્તિમાં અર્પણ કરૂ છું. આ ધરતી પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે, ત્યારે આ પાવન ધરતીને નમન કરૂ છુ. મનસુખભાઈ માંડવિયાએ પોતાના સંબોધનમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ બાદ મનસુખભાઈ માંડવિયા ભારત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા એ આપણા સમાજ માટે ગૌરવની વાત છે. નરેશભાઈ પટેલે મનસુખભાઈ માંડવિયાને કેબિનેટ મંત્રી બનવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપ હંમેશા સક્ષમ રહીને કામ કરો તેવી મા ખોડલને પ્રાર્થના.

શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ, લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:47 am IST)