Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ભાવનગરથી દિલ્હી - સુરત - મુંબઇની વિમાની સેવાનો વિજયભાઇના હસ્તે પ્રારંભ

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવું સોનેરી સોપાન : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી શરૂઆત કરાવી : સાંસદો આર.સી.પાટીલ, ભારતીબેન શિયાળ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતનાની ઉપસ્થિતિ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૦ : ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગરથી આજથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.

આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઇટ સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજય મંત્રી  વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજયમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'ઉડે દેશ કા આમ આદમી', 'ઉડાન યોજના' હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેકિટવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.

ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાંગવાનો વાડો ભાવનગરના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે.

તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગરમાં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

આમ, અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગરને નવી એર કનેકિટવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

આજથી દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. ૨૧ ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફલાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગરથી સુરતની ફલાઈટ ગુરૂવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.

(11:03 am IST)