Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા આવતા હોવાથી રોડનું રાતોરાત રીપેરીંગ થય ગયુ!!

લોકોની સમસ્યાને નજરઅંદાઝ કરતા તંત્રએ મંત્રી માટે તાબડતોબ રોડને રીસર્ફિંગ કર્યો

મોરબીમાં સામાન્ય લોકોની સમસ્યા માટે સદાય બેપરવાહ રહેતા તંત્રએ મંત્રી માટે રાતોરાત સમસ્યા ઉકેલીને પોતે ઘારે તો એક જ જાટકે સમસ્યાનો ઉકેલ લાવી શકવામાં સમર્થ હોવાનું પુરવાર કર્યું છે. જેમાં  કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની જનઆશીર્વાદ યાત્રા આવવાની હોવાથી તંત્રએ આ મંત્રીના રૂટ પરના માર્ગનું તાબડતોબ રીસર્ફિંગ કરી નાખ્યું છે.

  મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ખૂબ જ ધીમી ગતિએ ઓવરબ્રિજ બનાવવાનું ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજની બન્ને તરફે સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે. તે માર્ગ ઘણા સમયથી બીસ્માર હાલતમાં હોવાથી દરરોજ ટ્રાફિકજામની વિકટ સમસ્યા સર્જાય છે. તેમ છતાં પણ તંત્રએ લાંબા સમયથી સમસ્યાનો ઉકેલ લાવવામાં જરાય તસ્દી લીધી ન હતી.
  દરમિયાન આવતીકાલે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા મોરબી આવવાના હોય અને આ રૂટ પરથી પસાર થવાના હોવાથી તંત્રએ તાબડતોબ અહીંના સર્વિસ રોડનું રીસર્ફિંગ કરી નાખ્યું છે. આ રોડના કામ માટે એક બાજુનો રોડ બંધ કરી દીધા ટ્રાફિકજામ થયો હતો. જો કે મંત્રી કે કોઈ મોટા ગજના નેતા આવે ત્યારે જ તંત્ર જે તે સમસ્યાનું રાતોરાત નિરાકરણ કરે છે. પણ જે સમસ્યાથી વર્ષોથી પીડાતી પ્રજાની ક્યારેય પરવા કરાતી નથી. તેથી શુ તંત્રને માત્ર મંત્રીઓની જીહજૂરી કરવાની અને પ્રજા પ્રત્યે જરાય નિષ્ઠા નહિ રાખવાની? તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

(10:34 pm IST)