Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વિજયભાઇ-નિતીનભાઇના હસ્‍તે ભાવનગરને કેન્‍સર કેર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટની ભેટ

વિભાવરીબેન દવેના પ્રયાસો ફળ્‍યાઃ રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપી : ર૯ર પરિવારોને રૂ. ૧૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ અર્પણ પાંચ એમ.એલ.ડી ક્ષમતાના રૂ. પ.ર૭ કરોડના વોટર ટ્રિટમેન્‍ટ પ્‍લાન્‍ટ સ્‍વર્ણિમ જ્‍યંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનાના રૂ. ૧૩.રપ કરોડના વિકાસકામોની ભાવનગરને ભેટ

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૦ : મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલે આજે મંગળવારે એક જ દિવસમાં ભાવનગર મહાનગરને શહેરી જનસુખાકારી અને આરોગ્‍ય સુવિધાના રૂ. ૭૦ કરોડના વિકાસકામોની ભેટ આપી છે. 

 મુખ્‍યમંત્રી ભાવનગરમાં ગુજરાત કેન્‍સર રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ સંચાલિત ભાવનગર કેન્‍સર કેર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટનો સર તખ્‍તસિંહજી હોસ્‍પિટલમાં નાયબ મુખ્‍યમંત્રી   નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતીમાં પ્રારંભ કરાવ્‍યો હતો.

 કેન્‍સર જેવા જટિલ રોગની સારવાર માટે સૌરાષ્‍ટ્રના ખાસ કરીને ભાવનગર, બોટાદ અને અમેરલી જિલ્લાના લોકોને અમદાવાદ સુધી આવી સારવાર માટે આવવું ન પડે તેવા ઉદાત્ત ભાવથી ભાવનગરમાં આ કેન્‍સર કેર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ શરૂ કરવામાં આવી રહી છે.

 રાજ્‍ય સરકારે આ હેતુસર અમદાવાદની ગુજરાત કેન્‍સર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ સાથે MoU કરેલા છે.

 તદઅનુસાર, ભાવનગરની સર તખ્‍તસિંહજી હોસ્‍પિટલમાં રૂ. ૩ર.૧૧ કરોડના ખર્ચે અદ્યતન સારવાર સાધનો સાથે ભાવનગર કેન્‍સર કેર એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયૂટ નિર્માણ પામ્‍યુ છે.

 મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણી આ વિકાસ કામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૧૮.૮૮ કરોડના ખર્ચે નિર્મિત ર૯ર આવાસોના લોકાર્પણ કરવાના છે. પ્રતિક રૂપે તેઓ કેટલાક લાભાર્થીઓને આવાસની ચાવી પણ અર્પણ કરી હતી.

 આ અવસરે રાજ્‍યના મહિલા-બાળ કલ્‍યાણ અને શિક્ષણ રાજ્‍ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી  પરસોત્તમભાઇ સોલંકી તેમજ ધારાસભ્‍યો  જિતુભાઇ વાઘાણી, આત્‍મારામભાઇ પરમાર અને કેશુભાઇ નાકરાણી તથા આર.સી. મકવાણા, ભીખાભાઇ બારૈયા અને કનુભાઇ બારૈયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 મુખ્‍યમંત્રી ભાવનગર મહાનગરમાં નારી ખાતે ‘અમળત' યોજના અન્‍વયે રૂ. પ.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા પાંચ એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્‍ટ પ્‍લાન્‍ટનું લોકાર્પણ કર્યુ હતું

 એટલું જ નહિ, તેઓ સ્‍વર્ણિમ જ્‍યંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ર.રપ કરોડના ખર્ચે સિટી બ્‍યૂટિફિકેશન તહેત નિર્માણ થયેલા નારી ગામના તળાવનું અને દુઃખી શ્‍યામ બાપા સર્કલથી અધેવાડા તરફ ભાવનગર મહાપાલિકાની હદ સુધી રૂ. ૧૦.૯૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સી.સી. રોડના કામનું લોકાર્પણ થયુ છે.

 ભાવનગર મહાનગરના મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ વગેરે પણ આ લોકાર્પણ સમારોહમાં જોડાયા હતા.

(10:45 am IST)