Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

માનસરોવર પાર્કના ઉમેશભાઇ ખાંડેખાનું ભગવતીપરામાં ભાઇના ઘરે મોત નિપજ્યું

રાજકોટ તા. ૨૦: આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્કમાં રહેતાં ઉમેશભાઇ પરષોત્તમભાઇ ખાંડેખા (બ્રાહ્મણ) (ઉ.વ.૫૨) ભગવતીપરામાં તેમના ભાઇ રમેશભાઇના ઘરે પેટમાં ગેસ થયો હોઇ તેની દવા લેવા આવ્યા હોઇ દવા લીધા બાદ અહિ તબિયત બગડતાં અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર ઉમેશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

જંકશન પ્લોટના પ્રફુલભાઇ કોટેચાનું બેભાન હાલતમાં મોત

બીજા બનાવમાં જંકશન પ્લોટ-૧૦માં હિત પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રફુલભાઇ જયંતિભાઇ કોટેચા (ઉ.વ.૪૮) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇમાં નાના હતાં. તેઓ ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

પ્રિયદર્શન સોસાયટીના હેમંતભાઇ ટિલાવતનું શ્વાસની બિમારીથી મોત

મવડી ૧૫૦ રીંગ રોડ પર પ્રિયદર્શન સોસાયટીમાં રહેતાં હેમતભાઇ મોહનભાઇ ટિલાવત (ઉ.વ.૬૮)ને શ્વાસની બિમારી હોઇ ગભરામણ થતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તાલુકાના હેડકોન્સ. ભાવેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)